વડોદરામાં નોન વેજની લારીઓ બંધ કરવાના જાહેરનામાનો અમલ કરાવવામાં તંત્ર નિષ્ફળ
વડોદરા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેરમાં તમામ ધર્મના તહેવારોને માન, સન્માન સાથે ધાર્મિક લાગણીથી ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. તહેવારમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે તંત્ર કેટલાક જાહેરનામા માત્ર બહાર પાડવા ખાતર પાડી રહ્યું છે તેવું વડોદરામાં જોવા મળતું હોય છે.
તાજેતરમાં શ્રાવણ માસ અને પર્યુષણના પર્વ દરમિયાન કોર્પોરેશનને એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શ્રાવણ મહિના અને પર્યુષણ દરમિયાન દર સોમવારે શહેરભરના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ નોન વેજની લારીઓ ખુલ્લી રાખી શકાશે નહીં. તેમ છતાં અનેક વિસ્તારો જેમાં ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો છે ત્યાં નોન વેજની લારીઓ અને હાટડીઓ ખુલ્લી જોવા મળી હતી. ત્યાં નોનવેજનું ધૂમ વેચાણ પણ ખુલ્લેઆમ થયું હતું. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ પરિસ્થિતિમાં કોર્પોરેશન અને પોલીસ વિભાગનું તંત્ર માત્ર જાહેરનામા બહાર પાડી સંતોષ માની લે છે પરંતુ તેના અનુસંધાને આગળની કોઈ યોગ્ય કાર્યવાહી કે જરૂરી પગલાં લેવામાં ન આવતા હોવાનો લોકોમાં મત છે. આના કારણે ધાર્મિક લાગણી દુભાતી રહે છે અને તેના અણધાર્યા પરિણામ આવતા હોય છે.