અમદાવાદ, ગુરુવાર
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની
અસરને પગલે ગુજરાતના મોટાભાગના સ્થળે સતત બીજા દિવસે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રહ્યો
હતો. રાજ્યના ૧૦૦ તાલુકામાં માવઠું પડયું હતું અને તેમાંથી પાંચ તાલુકામાં ૧ ઈંચથી
વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક સ્થળોએ હજુ આગામી
બે દિવસ વરસાદી માહોલ રહેશે અને આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે
વરસાદ પડવાની સંભાવના છે. આજે વરસાદી માહોલને પગલે રાજ્યભરમાં દિવસ દરમિયાન કડકડતી
ઠંડી અનુભવાઇ હતી.
આજે દિવસ દરમિયાન
વડોદરા જિલ્લાના ડભોઇમાં સૌથી વધુ ૨ ઈંચ, છોટા ઉદેપુરના ડભોઇમાં દોઢ ઈંચ, નર્મદાના
તિલકવાડમાં સવા ઈંચ જ્યારે સુરતના માંગરોળ, નર્મદાના ગરૃડેશ્વરમાં ૧ ઈંચથી વધુ વરસાદ
નોંધાયો હતો. ભારે ભવનને લીધે મકાનોના પતરા
ઉડી ગયા હતા.અન્યત્ર જ્યાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં છોટા ઉદેપુર, સંખેડા,
જાંબુઘોડા, હાંસોટ, અંકલેશ્વર, પલસાણા, જાલોદનો સમાવેશ થાય છે. બુધવારે સાંજે છ વાગ્યાથી
આજે સાંજે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬ ઇંચ, મહુવામાં
૩.૫ ઇંચ, પલસાણામાં ૩ ઇંચ સહિત તમામ તાલુકામાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. વિતેલા ૨૪
કલાકમાં સુરત જિલ્લામાં કુલ ૬૫૭ મિ.મિ એટલે
કે સરેરાશ ૨.૬ ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયુ
છે.
સૌરાષ્ટ્રના અનેક
તાલુકામાં પણ કમોસમી વરસાદે કેર વર્તાવ્યો હતો. ભરૃચ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર,
દાહોદ, પંચમહાલ વિગેરે જિલ્લાઓમાં ઠેરઠેર માવઠાની માઠી અસરના હેવાલો મળી રહ્યા છે.
ભરૃચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ માવઠું સર્જાતા ઝરમરિયા અને ઝાપટાં વરસતો રહ્યો હતો.
શિયાળાની ઠંડી તેથી વધુ કાતિલ બની હતી. ભરૃચમાં ૩૦ મીમી, જંબુસર - નેત્રંગમાં ૬ મીમી,
આમોદમાં ૫ મીમી, અંકલેશ્વરમાં ૨૮ મીમી, હાસોટ, વાગરામાં ૧૯મીમી, વાલિયામાં ૩૭ મીમી,
ઝઘડિયામાં ૨૧ મીમી,વરસાદ નોંધાયો છે.
માવઠાથી કપાસ,
ડાંગર, તુવેર, મગફળીને નુક્સાન થયું છે. ઇંટોના ભઠ્ઠા બંધ પડતાં ઇંટોના વેપારમાં ભારે
નુક્સાન થયું છે. હાલમાં લગ્નસરાની મોસમ પણ જામી છે. કમોસમી વરસાદને પગલે ખસા કરીને
પાર્ટી પ્લોટમાં લગ્ન યોજનારાના આયોજન ખોરવાયા હતા.
ગુજરાતમાં માવઠાથી
કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું : હિલ સ્ટેશન જેવો માહોલ
ગુજરાતમાં માવઠાથી
સતત બીજા દિવસે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યના મોટાભાગના સ્થળોએ દિવસનું
તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે જતાં લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી
અનુસાર ગુજરાતમાં આવતીકાલથી તાપમાન ૪ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં
મોટાભાગના સ્થળોએ આજે દિવસનું તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ગત રાત્રિએ નલિયા,
વલ્લભ વિદ્યાનગરમાં ૧૫.૨ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અન્યત્ર વડોદરામાં
૧૫.૮, ભાવનગરમાં ૧૭.૪, ભૂજમાં ૧૭.૮, રાજકોટમાં ૧૮.૭ અને સુરતમાં ૧૬.૬ ડિગ્રીએ પારો
રહ્યો હતો.

