Get The App

ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે મા પાર્વતીએ ગૌરીવ્રત કર્યુ હતું

આજથી બાળકીઓ પાંચ દિવસ મીઠા વગરનું મોળું ખાવાની તપશ્ચર્યા કરશે

Updated: Jun 30th, 2023

GS TEAM

Google News
Google News
ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે મા પાર્વતીએ ગૌરીવ્રત કર્યુ હતું 1 - image


વડોદરા : શનિવારથી ગૌરીવ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. મોળાકત અને અલુણા તરીકે પણ આ વ્રત ઓળખાય છે. આ વ્રત કુવારી કન્યાઓ ખાસ કરીને ૬ થી ૧૪ વર્ષની બાળકીઓ પાંચ દિવસ અલુણા એટલે કે મીઠા વગરનું મોળુ ભોજન લઇને ભગવાન શિવજીની કૃપા મેળવે છે. શનિવારથી વ્રતનો પ્રારંભ થતો હોવાથી આજે માતા-પિતાઓ બાળકીઓને મનભાવતુ ભોજન કરાવવા માટે રેસ્ટોંરા અને હોટેલોમા ઉમટી પડયા હતા.

૫૧ મુસ્લિમ દીકરીઓએ ગૌરીવ્રત કરનાર ૨૫૧ હિન્દુ દીકરીઓને મહેંદી મુકી આપી કોમી સૌહાર્દનો સંદેશો આપ્યો, બાળકીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરાયું

ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે મા પાર્વતીએ ગૌરીવ્રત કર્યુ હતું 2 - image

આ વ્રત માતા પાર્વતીજીએ ભગવાન શિવજીને પામવા માટે કર્યુ હતું ત્યારથી આ વ્રતનો મહિમા ચાલી રહ્યો છે. બાળકીઓ ઘરમાં ઘઉના જવેરા ઉગાડે છે અને તેનું રોજ પુજન કરે છે.જવારાને માતા પાર્વતીના સ્વરૃપ તરીકે પુજવામાં આવે છે. જ્યારે રૃની પુણીમાં ગોળ ગાંઠો બનાવીને તેને કંકુ વડે રંગવામાં આવે છે જેને નાગલા કહેવામાં આવે છે અને આ નાગલા જવારા ઉપર ચઢાવામાં આવે છે. નાગલાને ભગવાન શિવજીનું પ્રતિક માનવામાં આવે છે આમ કુવારીકાઓ શિવ-પાર્વતીની પુજા વ્રત દરમિયાન કરે છે. પાંચમા દિવસે એટલે કે વ્રતના છેલ્લા દિવસે જવેરાને નદી તળાવમાં પધરાવી દે છે.

પાછલા કેટલાક વર્ષોથી વ્રત કરતી બાળકીઓમાં મહેંદી મુકવાની પણ પરંપરા શરૃ થઇ છે. ત્યારે વડોદરાની સામાજિક કાર્યકર યુવતી નિશિતા ગુલાબ રાજપુતે આજે અનોખા કાર્યક્રમનું આયોજન કર્યુ હતું જેમાં ગૌરીવ્રત કરનાર ૨૫૧ દીકરીઓને મહેંદી મુકવા માટે નિશિતાએ ૫૧ મુસ્લિમ દીકરીઓને બોલાવી હતી. મુસ્લિમ દીકરીઓએ પણ ખુશીખુશીથી હિન્દુ દીકરીઓને મહેંદી મુકી આપીને ગૌરીવ્રતની શુભેચ્છાઓ આપી હતી. આ ઉપરાંત કાલથી વ્રત શરૃ કરનાર આ ૨૫૧ દીકરીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરાયુ હતુ તો મુસ્લિમ દીકરીઓને પણ ભેંટ આપવામા આવી હતી.

Tags :