Get The App

આજે અખાત્રીજ:સોનું અને વાહનોની ધૂમ ખરીદી થશે

- આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે તેનું શુભ ફળ મળતું હોવાથી લોકોમાં ખરીદી માટે ઉત્સાહ

Updated: May 7th, 2019

GS TEAM


Google News
Google News
આજે અખાત્રીજ:સોનું અને વાહનોની ધૂમ ખરીદી થશે 1 - image


આજે અખાત્રીજ:સોનું અને વાહનોની ધૂમ ખરીદી થશે 2 - imageઆણંદ,તા. 6 મે 2019, સોમવાર

કોઈપણ શુભકાર્ય માટે વણજોઈતુ મુહુર્ત એટલે અખાત્રીજ. મંગળવારના રોજ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં અક્ષયતૃતીયાની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. 

વણજોઈતા મુહુર્તને લઈને આ શુભ દિવસે જિલ્લામાં ઠેર-ઠેર વિવાહ તેમજ લગ્ન સમારંભો મોટી સંખ્યામાં યોજાનાર છે.  

અખાત્રીજના પાવન દિવસે જિલ્લાવાસીઓ દ્વારા મિલ્કત, ઝવેરાતની ખરીદી તેમજ શુભકાર્યોનો પ્રારંભ કરાશે. 

જો કે સોનાના ભાવ વધુ હોવાથી જિલ્લાવાસીઓ યથાશક્તિ પ્રમાણે સોના તેમજ ઝવેરાતની ખરીદી કરશે. સાથે સાથે અખાત્રીજના પાવન દિવસે વાહનની ડીલીવરી મળે તેવુ અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોઈ મંગળવારના રોજ જિલ્લાના વિવિધ શોરૂમ ખાતે ગ્રાહકોની ભારે ભીડ જામશે.

ભારતીય આર્ય પરંપરા મુજબ દરેક કાર્યની શુભ શરૂઆત શુભ મુહુર્તમાં કરવામાં આવે છે. તેમાં પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ અખાત્રીજનું મહત્વ અનેરું છે. વૈશાખ સુદ ત્રીજનું મહત્વ અત્યંત ફળદાયી છે. પૌરાણિક ગ્રંથ અનુસાર આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે તેનું ફળ અક્ષય મળે છે. તેથી જ આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસને લગ્ન-સગપણ સહિતના શુભકાર્યો અને નવી મિલ્કત-ઝવેરાતની ખરીદી માટે ઉત્તમ ગણવામાં આવે છે. 

વૈશાખ સુદ ત્રીજને મંગળવારના રોજ સમગ્ર આણંદ જિલ્લામાં અખાત્રીજ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. વહેલી સવારથી જ પૂજાના સારા મુહૂર્ત હોવાથી જિલ્લાવાસીઓ દ્વારા ઠેર-ઠેર શુભકાર્યોની સાથે સાથે યજ્ઞા, દાનપૂણ્ય દ્વારા પોતાના ઈષ્ટદેવની આરાધના કરશે. 

સોના-ચાંદીની ખરીદી માટે શુભ ગણાતા અખાત્રીજના દિવસે જિલ્લાની વિવિધ ઝવેરાતની દુકાનો પર ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળશે. જેને લઈ સોની બજારના વેપારીઓએ પુરતી તૈયારીઓ કરી દીધી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીપુત્રો દ્વારા પણ અખાત્રીજ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. ધરતીપુત્રો દ્વારા અખાત્રીજના દિવસે ખેતર ખેડવાની હળોતરો વિધિ સંપન્ન કરવામાં આવશે. જૈન ધર્મમાં પણ આ દિવસ ભગવાન ઋષભદેવ સાથે જોડાયેલો છે. જે પાછળથી આદિનાથ ભગવાન તરીકે પ્રસિધ્ધ થયા હતા. 

જિલ્લામાં વસતા જૈનબંધુઓ દ્વારા મંગળવારના રોજ વર્ષીતપનો પ્રારંભ કરાશે. સાથે સાથે જિલ્લામાં આવેલ વિવિધ વાહનોના શોરૂમ ખાતે અખાત્રીજના શુભ દિવસે વાહનની ડીલીવરી મળે તે હેતુથી અગાઉથી ગ્રાહકો દ્વારા બુકીંગ કરી દેવામાં આવેલ છે ત્યારે મંગળવારના રોજ વહેલી સવારથી જ ગ્રાહકોની ભીડ વિવિધ શોરૂમ ખાતે જોવા મળશે.

આજે લગ્નોત્સવમાં બાળલગ્નો પર ચાંપતી નજર રખાશે

અખાત્રીજના પાવન દિવસે સમગ્ર આણંદ જિલ્લામાં અનેક સ્થળોએ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે કેટલાક સમાજમાં હજી પણ બાળલગ્ન થતા હોઈ જિલ્લાના બાળલગ્ન પ્રતિરોધક તંત્ર દ્વારા બાળલગ્નો અટકાવવા માટે અખાત્રીજના દિવસે વિશેષ તપાસનું આયોજન કરાયું છે.

તંત્રની તપાસ દરમ્યાન દિકરીની ઉંમર ૧૮ અને દિકરાની ઉંમર ૨૧ વર્ષથી ઓછી માલુમ પડશે તો કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને સમૂહલગ્ન કરાવનાર આયોજકોને પણ ઉંમરની ખરાઈ કર્યા બાદ જ લગ્ન કરાવવા જણાવાયું છે. આ કાયદા હેઠળ બે વર્ષની સખત કેદ અને રૂા.૧ લાખ સુધીના દંડની સજાની જોગવાઈ છે.

Tags :