Gujarat

ગૃહ કલેશથી કંટાળીને ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત

By GS Team
22 Jul 20242 mins read
This article was originally published on 22 Jul 2024
ગૃહ કલેશથી કંટાળીને ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત

 વડોદરા,કલ્યાણ નગર વુડાના મકાનમાં રહેતા ૨૩ વર્ષના યુવાને ગૃહ કલેશથી કંટાળીને ઘરે જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કલ્યાણ નગર વુડાના મકાનમાં રહેતો ૧૨ વર્ષનો અભિષેક ઉર્ફે અરહાન હરિશભાઇ મોચીએ બે વર્ષ પહેલા રૃબીના નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.  પ્રેમ લગ્ન કર્યા પછી યુવકે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો. અભિષેક ઉર્ફે અરહાન તેની  પત્ની  રૃબીના સાથે કલ્યાણ નગર વુડાના મકાનમાં પરિવારથી અલગ રહેતો હતો અને સેલ્સ મેન તરીકે નોકરી કરતો હતો. લગ્ન જીવન દરમિયાન આઠ મહિનાનો બાળક છે. પૌત્રને રમાડવા બાબતે  રૃબીના અને તેના સાસુ વચ્ચે અવાર - નવાર ઝઘડા થતા હતા. દોઢ મહિના પહેલા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરંતુ,ત્યારબાદ પોલીસે બંને પક્ષને સમજાવી સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ પણ સાસુ અને વહુના ઝઘડા ચાલુ રહ્યા હતા. જેનાથી અભિષેક ઉર્ફે અરહાન કંટાળી ગયો હતો. તેણે અગાઉ પણ એક વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં રૃબીના પિયરમાં રહેવા જતી રહી હતી. રૃબીનાએ પતિને ફોન કરતા તેણે રિસિવ કર્યો નહતો. જેથી, પતિના મિત્રને ઘરે જઇને તપાસ કરવા કહ્યું હતું. મિત્ર ઘરે ગયો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેણે  કંઇક અજુગતુ લાગતા પરિવારજનોને બોલાવ્યા હતા.  પરિવારજનોએ નાના બાળકને અંદર ઉતારી દરવાજો ખોલાવ્યો ત્યારે અભિષેકના મોત અંગે જાણવા મળ્યું હતું. બનાવ અંગે સયાજીગંજ પોલીસને  જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. ડી.વી.  પાટિલે ઘટના સ્થળે પહોંચીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અભિષેકના પરિવારજનોની ઇચ્છા અંતિમ વિધિ હિન્દુ ધર્મ પ્રમાણે કરવાની  હતી. રૃબીનાએ પણ સંમતિ આપતા છેવટે અભિષેકના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ પ્રમાણે કરવામાં આવ્યા હતા.