Get The App

હુમલા પ્રકરણમાં આખડોલના પૂર્વ સરપંચ સહિત ત્રણની ધરપકડ

Updated: Sep 3rd, 2023

GS TEAM


Google News
Google News
હુમલા પ્રકરણમાં આખડોલના પૂર્વ સરપંચ સહિત ત્રણની ધરપકડ 1 - image


દારૂ પકડાવ્યો હોવાની રીસ રાખીને હુમલો કર્યો હતો

પોલીસ ફરિયાદ થતા આખરે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

નડિયાદ: નડિયાદ તાલુકાના રણછોડપુરા ગામે પોલીસે દરોડો પાડી દારૂ કબજે કર્યો હતો. જેની બાતમી આપ્યાની રીસ રાખીને યુવક ઉપર હુમલો કરનાર આખડોલના પૂર્વ સરપંચ તેમજ તેના પુત્ર અને ભત્રીજાને પોલીસે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

નડિયાદના આખડોલ ગામે રહેતા જગદીશભાઈ ઉર્ફે જીગો બાલાભાઈ પરમાર તેના મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને રણછોડપુરા ખાતે રહેતા અન્ય મિત્ર ઉમેશભાઈ વિઠ્ઠલભાઈ પરમારને તેના ઘરે મૂકવા માટે જઈ રહ્યો હતો.

 આ સમયે આખડોલ મોટી નહેરના ગરનાળા પાસે ભાવિક પ્રફુલભાઈ પરમાર તથા અતુલ રાજેશભાઈ પરમારે જગદીશને રોકીને - અમારો દારૂ તમે લોકોએ પકડાવ્યો છે, તેમ કહીને તકરાર કરી હતી. આ સમયે આખડોલનો પૂર્વ સરપંચ અને વિદેશી દારૂનો વ્યવસાય કરતો પ્રફુલ ઉમેદભાઈ પરમાર પણ ત્યાં ગયો હતો. મામલો ઉગ્ર બન્યા બાદ ભાવિકે લાકડાનું ઝુડિયુ જગદીશભાઈને માથાના ભાગે મારી દીધું હતું, 

જ્યારે અતુલ પરમારે નાક ઉપર મુક્કો મારતા જગદીશભાઈને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ મામલે જગદીશભાઈ પરમારની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ભાવિક પ્રફુલભાઈ પરમાર, અતુલ રાજેશભાઈ પરમાર તથા પ્રફુલ ઉમેદભાઈ પરમાર (તમામ રહે. રણછોડપુરા આખડોલ) વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે મામલામાં આજે આખડોલના પૂર્વ સરપંચ અને વિદેશી દારૂનો વેપાર કરતા બુટલેગર પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર તેમજ ભાવિક અને અતુલ પરમારની ધરપકડ કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

Tags :