Gujarat

આ વર્ષ સૌ ભારતવાસી 'સંકલ્પ વર્ષ' તરીકે ઉજવે : અમિત શાહ

By GS Team
31 Oct 20213 mins read
This article was originally published on 31 Oct 2021
આ વર્ષ સૌ ભારતવાસી 'સંકલ્પ વર્ષ' તરીકે ઉજવે : અમિત શાહ

સરદારની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ યોજાઇ 

સરદાર પટેલની  ખેડૂત અને કૃષિલક્ષી સંવેદનશીલતાની પણ યાદ અપાવી 

રાજપીપલા : આજે  સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજનું ''રાષ્ટ્રીય એકતા પર્વ'' નું વિશેષ મહત્વ એટલા માટે છે કે, ચાલુ વર્ષે દેશ આઝાદીના 75માં વર્ષની  ઉજવણી કરી રહ્યો છે ત્યારે  આ વર્ષને 130 કરોડ ભારતવાસીઓ સંકલ્પ વર્ષ તરીકે ઉજવે. 

તેમણેે એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે, પ્રત્યેક ભારતીય દ્વારા લેવાયેલો દેશના નિર્માણ માટેનો સંકલ્પ દેશના ભવિષ્ય માટે નિશ્ચિતરૂપે પરિણામલક્ષી સાબિત થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ના નિર્માણ થકી દેશની એકતાને કોઈ જ ભેદી નહિ શકે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સરદારપટેલની દીર્ઘદ્રષ્ટિથી જીતાયેલા ''લક્ષ્યદ્વીપ''ના ઉલ્લેખ સાથે તેમની ખેડૂત અને કૃષિલક્ષી સંવેદનશીલતાને પણ યાદ કરી હતી.

તેમના સન્માનમાં જાણીતા હિન્દી કવિશ્રી હરિવંશરાય બચ્ચનની રચના ''પટેલ દેશ કે નિગેહ-બાન, હરેક પક્ષ કો પટેલ તોલતા''ને પણ ઉપસ્થિત જનસમુદાય સમક્ષ રજુ કરી હતી.અગાઉ તેમણે સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરી હતી. આ પ્રસંગે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પની વર્ષા કરી ભાવસભર આદરાંજલી અપાઈ  હતી. ત્યાર બાદ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. 

રાષ્ટ્રીય એકતા દિને  એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશ દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. પોલીસ-અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસ સભર પરેડ રજૂ કરી હતી. આ દળોએ અનોખી ધ્વજ સલામી આપી હતી.

સરદાર પટેલને અમારી સરકારે ઉચિત સન્માન આપ્યું

વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા ''રાષ્ટ્રીય એકતા દિવસ''ની ઉજવણીની આ સંકલ્પનાને બિરદાવતા  ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ-2014માં મોદી ની સરકારે શપથ ગ્રહણ કર્યા બાદ, સરદાર  પટેલની યાદગીરીમાં અને તેમને ઉચિત સન્માન આપવા માટે પ્રતિવર્ષ તેમના જન્મદિવસને ''રાષ્ટ્રીય એકતા દિવસ'' તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે.

આ પૂર્વે હંમેશા સરદારની ઉપેક્ષા થતી આવી છે. જો કે, અમારી સરકારે સરદાર સાહેબને ''ભારત રત્ન'' આપીને વિશ્વની સૌથી ઊંચી 182 મીટર પ્રતિમા કેવડિયા ખાતે સ્થાપી તથા આ સ્થળને ''રાષ્ટ્રીય એકતા તીર્થ'' તરીકે પ્રચલિત કરીને તેમને ઉચિત સન્માન આપવાનું કાર્ય કર્યું છે.

આજે અમિત શાહ એલિવેટેડ બ્રિજ કોરિડોરનું લોકાપર્ણ કરશે

અમદાવાદ, રવિવાર

હવે  ટ્રાફિકની ઝંઝટ વિના  સરખેજથી ગાંધીનગર જવુ વધુ સરળ બનશે કેમ કે,ઝાયડસ હોસ્પિટલથી ભાગવત વિદ્યાપીઠ સુધીનો એલિવેટેડ બ્રિજ હવે ખુલ્લો મુકાશે. સોમવારે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બ્રિજનુ લોકાપર્ણ કરશે. અમદાવાદ શહેરના એસજી હાઇવે પર 4.2 કીમી લાંબો એલિવેટેડ બ્રિજ કોરિડોરનુ નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે. સોમવારે સવારે સાડા આઠ વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બ્રિજનુ લોકાપર્ણ કરશે. અમિત શાહ બોટાદ પાસે કુંડળ ગામમાં વ્યસનમુક્તિ કાર્યક્રમમાં ભાગ લે તેવી શક્યતા છે. બપોર બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.