Get The App

કુબેરનગર વોર્ડમાં રોડ રીસરફેસ કામગીરીમાં વેઠ ઉતારાતા રહીશો ત્રસ્ત

રીસરફેસ કરાયા બાદ પણ રોડ ઉપર કપચીના ઢગલાથી અકસ્માતની ભીતી

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
કુબેરનગર વોર્ડમાં રોડ રીસરફેસ કામગીરીમાં વેઠ ઉતારાતા રહીશો ત્રસ્ત 1 - image

     

  અમદાવાદ,બુધવાર,1 ડિસેમ્બર,2021

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો રોડ બનાવનારા કોન્ટ્રાકટરોના તાબે થઈ ગયા હોય એમ કરોડો રુપિયાના રોડ રીસરફેસના વર્ક ઓર્ડર અંદાજીત ભાવ કરતા પણ ૨૦ ટકા વધુના ભાવથી સિંગલ ટેન્ડરથી રોડ કમિટી દ્વારા આપવામાં આવી રહ્યા છે.બીજી તરફ તંત્રમાં રોડ મામલે કોઈ રણીધણી જ ના હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.કુબેરનગર વોર્ડમાં રોડ રીસરફેસ કામગીરીમાં પણ કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારી કામ પુરુ કરી દેવાતા હવે કોન્ટ્રાકટર અને ઉત્તરઝોનના ઈજનેર વિભાગની બેદરકારીનો ભોગ રહીશો બની રહ્યા છે.

 

આ અંગે મળતી માહિતી મુજબ,ઉત્તરઝોનમાં આવેલા કુબેરનગર વોર્ડના બી, ડી અને એફ વોર્ડના મધ્યમાંથી પસાર થતો સત્યનારાયણ દૂધ ઘરથી એફ વોર્ડ આદર્શ સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર  ભીલ વાસથી એ.પી.જી.સ્કૂલ તરફ જવાના વળાંક વાળા રસ્તાને એક સપ્તાહ પહેલા જ રીસરફેસ કરવામાં આવ્યો છે.જીપીએમસી એકટના નિયમ મુજબ, શહેરમાં કોઈ પણ વોર્ડ વિસ્તારમાં નવો રોડ બનાવવાની કે રીસરફેસ કરવાની કામગીરી જે તે કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપી કરાવવામાં આવતી હોય એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગના સુપરવાઈઝર અને આસીસ્ટન્ટ સિટી ઈજનેરને સ્થળ ઉપર હાજર રહી કામગીરી બરોબર કરવામાં આવી રહી છે કે કેમ? એ બાબતની ચકાસણી કરી ડેપ્યુટી સિટી ઈજનેર અને એડીશનલ સિટી ઈજનેરને રીપોર્ટ આપવાનો હોય છે.

આમ છતાં કુબેરનગર વોર્ડમાં એક સપ્તાહ અગાઉ રીસરફેસ કરવામાં આવેલા આ રસ્તા ઉપર કોન્ટ્રાકટરના માણસોએ કામગીરી પુરી થયા બાદ કપચીના ઢગલા પણ જેમની તેમ હાલતમાં રોડ ઉપર મુકી દેતા આ રસ્તેથી પસાર થતા નાગરિકો ઉપરાંત સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને તેમને લેવા કે મુકવા જતા વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉપરાંત વાહન ચાલક ધ્યાન ના રાખે તો અકસ્માત થવાની પણ ભીતી રહેલી છે.