ગુજરાતના 19 જિલ્લાઓમાં કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી જ નથી : પિટિશન
- સુઓમોટોમાં અમદાવાદ મેડિકલ એસો.ની રજૂઆત
- ટેસ્ટિંગની બાબતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુથી ગુજરાત ખૂબ જ પાછળ છે : રજૂઆત
અમદાવાદ, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર
કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટ હાથ ધરેલા સુઓમોટોમાં એમદાવાદ મેડિકલ એસોસિએશને પિટિશન કરી રજૂઆત કરી છે કે રાજ્યના 19 જિલ્લાઓમાં એકપણ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી નથી. જેથી આ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા અંગે કોર્ટે સરકારને યોગ્ય નિર્દેશો આપવા જોઇએ.
આ ઉપરાંત કોરોનાના વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ખૂબ ઓછા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. આ મહામારીમાંથી ઉગરવા ટેસ્ટિંગમાં આક્રમક વધારો કરવામાં આવે તે જરૂરી છે. પિટિશનની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શક્યતા છે.
અરજદાર એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી છે કે ટેસ્ટિંગની બાબતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશથી ગુજરાત ઘણું પાછળ છે.
દિલ્હીમાં આશરે 1.9 કરોડની વસતિ છે અને ત્યાં દરરોજ 23 હજાર ટેસ્ટ હાથ ધરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં દરરોજ 30 હજાર ટેસ્ટ, ઉત્તર પ્રદેશમાં 29 હજાર અને તમિલનાડુમાં 35 હજાર ટેસ્ટ હાથ ધરવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દરરોજ આશરે માત્ર 6000 ટેસ્ટ જ હાથ ધરવામાં આવે છે.
રાજ્યની વસતિને ધ્યાને લેતા રોજના ટેસ્ટિંગના આંકડામાં પાંચ ગણો વધારો કરવો જરૂરી છે. આ ઉપરાંત ગુજરાતના 19 જિલ્લાઓમાં એકપણ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી નથી. રાજ્ય સરકાર આક્રમક ટેસ્ટિંગ હાથ ધરી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ક્વોરન્ટાઇનની રણનીતિ અપનાવશે તો જ આ વાયરનો ચેપ રોકી શકાય તેમ છે.
રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ એવું સ્વીકારી રહી છે કે ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ માચે 19 ખાનગી લેબોરેટીરઓને મંજૂરી આપવામાં આવી છે. જો કે આ 19 પૈકી બે લબોરેટરી હજુ સુધી કાર્યરત નથી.
આઇ.સી.એ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને એન.એ.બી.એલ. (નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબરેશન લેબોરેટરીઝ)એ મંજૂરી આપી હોવા છતાં ગત 29મી જૂન સુધી રાજ્ય સરકારે 19 પૈકી પાંચ લેબોેરેટરીને કોરોના ટેસ્ટિંગની મંજૂરી આપી નહોતા. કોર્ટમં પિટિશન થયા બાદ પાંચ પૈકી ત્રણને ટેસ્ટિંગ હાથ ધરવાની મંજૂરી અપાઇ છે અને હજુ બે લેબોરેટરી ટેસ્ટિંગ મ ાટે સજ્જ હોવા છતાં મંજૂરી અપાઇ નથી.
RT-PCR ઉપરાંત એન્ટિજન ટેસ્ટ પણ કરો
રાજ્યમાં અત્યારે કોરોનાના નિદાન માટે આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરાઇ રહ્યા છે. જો કે આઇ.સી.એમ.આર. એ રેપિડ પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે ઓળખાતા એન્ટિજન ટેસ્ટિંગ માટે પણ ભલામણ કરી છે. આર.ટી.-પી.સી.આર.ની સરખામણીએ આ ટેસ્ટ સરળ અને ઝડપી છે અને કેન્ટેઇનમેન્ટ ઝોનમાં જ ટેસ્ટ કરી તેનું પરિણામ મેળવી શકાય છે.