જેણે ભણાવવું જ છે એ શિક્ષકને નિવૃત્તિ ક્યારેય નડતી નથી...
- આજે શિક્ષક દિને પાટડીના નિવૃત્ત શિક્ષકના વિદ્યાદાનની એક વાત
- રાજ્ય અને કેન્દ્ર સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનાર હર્ષદ જોષી કહે છે, બાળકોને ભણતા કરવા રમતા કરવા જરૂરી
- નિવૃત્તિના બીજા જ દિવસથી સ્વેચ્છાએ શાળામાં ભણાવવાનું શરૂ કરી દીધું
અમદાવાદ, તા.4 સપ્ટેમ્બર 2018, મંગળવાર
''હું રિટાયર્ડ થયો છું પણ મારામાં જીવતો શિક્ષક હજી ટાયર્ડ નથી થયો. હાથ-પગ ચાલે છે ત્યાં સુધી ગામનાં બાળકોમાં વિદ્યાનું ધન વહેંચતો રહીશ.'' શિક્ષકની નોકરીને માત્ર વ્યવસાય નહીં પણ સમાજ સેવાના દ્રષ્ટિકોણથી નવી જ ઊંચાઈ આપનારા પાટડીની રઘુવીરસિંહજી કુમાર શાળાના નિવૃત્ત શિક્ષક હર્ષદભાઈ જોષીના આ શબ્દોમાં એમની કર્તવ્ય પરાયણતા અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા સતત ટપકતી દેખાય છે. ૩ મે, ૨૦૧૮માં તેઓ નિવૃત્ત થયા પણ જે દિવસે એક નિવૃત્ત શિક્ષક શાળાનાં પગથિયાં ઉતરીને ઘેર ગયો ને બીજા દિવસે પાછો એ શિક્ષક એ જ શાળાનાં પગથિયાં ચઢીને બાળકોને કેળવણી આપવા લાગ્યો !
શિક્ષકો દરેક શાળામાં હોય છે, હર્ષદભાઈની શાળામાં પણ છે પરંતુ આ શિક્ષકની વાત અનોખી છે. તેમણે ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પેદા કર્યા છે પણ શિક્ષણ પ્રત્યેનો એમનો અભિગમ દીર્ધદ્રષ્ટિભર્યો છે. તેઓ કહે છે કે, 'બાળકોને ભણતા કરવા માટે રમતા કરવા જરૂરી છે. ભણવાના દબાણ વગર બાળકને સહજતાથી રમતા-રમાડતા શિક્ષણ અપાય તો બાળકને ભણવાનું અને શિક્ષકને ભણાવવાનું વેઠ જેવું ન લાગે.'
હર્ષદભાઈ અહીં જ બીજા શિક્ષકોથી નોખા તરી આવે છે. તેઓ માને છે કે બાળકને વિપરિત પરિસ્થિતિઓમાં પણ પાછા ન પડે એવા બનાવવા હોય તો શ્રમ કરવાનું પણ શીખવવું જોઈએ. તેથી તેઓ પરોઢિયે પાંચ વાગે શાળામાં પહોંચી જાય છે અને અભ્યાસ ઉપરાંત બાળકોને શાળા સફાઇ, છોડ અને વૃક્ષોની માવજત કરવાનું શીખવે છે. આ ઉપરાંત અભ્યાસમાં નબળા બાળકો પર પણ વિશેષ ધ્યાન આપે છે.
શાળાઓમાં વિવિધ ઇતર પ્રવૃત્તિઓ કરાવતી વખતે રમતગમત અને બાળકો સાથે ગીત-સંગીતની પણ મોજ માણે છે. બાળકો ઝાડ પર ચડીને બહાદુર બને છે તો સંગીતના સાત સૂરોમાં ઝબોળાઇને મૃદુ અને સંવેદનશીલ હૃદયના પણ બને છે. શાળામાં પાંચ નંબરનો ઓરડો હર્ષદભાઈનો છે જયાં બાળકો ધીંગામસ્તી કરે છે. કબાટમાં પડેલા ચણા-બિસ્કિટ પણ મોજથી ખાય છે... આ ઓરડાનું વાતાવરણ જ એવું છે કે સાંજ પડે ને અંધારું થવા આવે તો ય બાળકો ઘેર જવાનું નામ નથી લેતા ! આ રોજિંદા ક્રમને કારણે આજે પણ બાળકો અને સમગ્ર ગામના લોકો આ સ્કૂલને 'હર્ષદ સાહેબની શાળા' જ કહે છે.
આ શિક્ષકની કાર્યદક્ષતા માત્ર સ્કૂલ પુરતી જ મર્યાદિત છે એવું નથી. એમણે ગામના સહકારથી સાર્વજનિક દવાખાનાં, બસ સ્ટેન્ડ જેવાં સ્થળોએ સતત સફાઇ યજ્ઞાો કર્યા છે. પાટડીના જાહેર માર્ગો, આબુરાજ અન્નક્ષેત્ર, શાળા અને વ્યાયામ શાળા જેવા સ્થળોએ એક હજાર જેટલાં વૃક્ષો વાવીને ઉછેર્યાં છે. એમની શાળામાં તો દેશી ઓસડિયાં ઉદ્યાન બનાવ્યો છે જેમાં ગળો, ગરમાળો, અરડુસી, શંખપુષ્પી, નગરો, સાટોડીનાં વૃક્ષો ઉછેર્યાં છે જેનો ગામના લોકો જરૂર પ્રમાણે ઓષધી તરીકે ઉપયોગ કરે છે.
લોકભારતી સણોસરામાં પીટીસી થયા પછી શિક્ષક બનેલા હર્ષદભાઈ બાળકોને ભમાવતા ભણાવતા પોતે પણ ભણતા ગયા ને એમ.એ. સુધી ભણ્યા છતાં મોટા શહેરમાં જવાને બદલે ગ્રામ્ય પૃષ્ઠભૂમિ પર બાળકોને માતૃભાષાના ઘડિયાચિતરવાનું શીખવાડયું. તેઓ કહે છે મેં ભણાવેલાં ઘણાં બાળકો પોલીસ અધિકારી છે તો કોઈ સામાન્ય નોકરી-ધંધો પણ કરે છે. કેટલાક આર્થિક રીતે ભલે સમૃદ્ધ ન હોય પણ માનસિક રીતે સમૃદ્ધ છે, નિષ્ઠાવાન અને સંસ્કારી છે.'
હર્ષદભાઈનો પરિવાર સુખી છે. તેમનાં પત્ની એટીડી સુધી ભણ્યાં છે તો બે પુત્રો પણ વેલસેટ છે એટલે શાળા પાસેથી આર્થિક વળતરની અપેક્ષા ક્યારેય નથી રાખી. નિવૃત્તિ પછી ય સવારથી સાંજ સુધી શાળામાં બધું જ કામ સ્વેચ્છાએ કરે છે. ઉલટું વાર-તહેવારે અને રજાના દિવસે પણ શાળાના પગથિયાં અચૂક ચઢે છે. પત્ની અને સંતાનો પણ એમને આ કામમાં સહકાર આપે છે.
હર્ષદભાઈને રાજ્ય સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ભારત સરકાર દ્વારા ૨૦૦૯માં રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, વેદ વિજ્ઞાાન વિદ્યાપીઠ, બેંગ્લોર દ્વારા આર્ટ એસેલ એવોર્ડ અને આઇ આઇ એમ દ્વારા બેસ્ટ ઇનોવેટિવ સૃષ્ટિ એવોર્ડ મળ્યા છે છતાં આ બધા એવોર્ડસને માત્ર ઘરની સજાવટ બનાવવાના બદલે એવોર્ડ થકી થયેલી કદરને સતત કામ કરીને સાર્થક કરી રહ્યા છે.
આજે શહેરોની આધુનિક શાળાઓના શિક્ષકોમાં હર્ષદભાઈનો એકે ય ગુણ નથી. વરસમાં અર્ધા દિવસ ભણાવવું, મારી-મચડીને કોર્સ પુરો કરવો, મળતી હોય એટલી બધી હકરજાઓ વાપરવી અને ઘેર બેસી ટયુશનો કરી પૈસા બનાવતો આજનો શિક્ષક વિદ્યાને વેપાર બનાવી બેઠો છે. પહેલાંના સમયમાં શાળામાં ઉદ્યોગ વિષય ભણાવાતો જ્યારે આજે તો શાળાઓ જ ઉદ્યોગ બની ગઇ છે ! આપણે ઇચ્છીએ કે હર્ષદભાઈ જેવા શિક્ષકના ભાવ સરોવરમાંથી એકાદ બુંદ પણ આજના શિક્ષકોના હૃદયને ભીંજવે.