Gujarat

હોટેલોમાં કવોરન્ટાઇનના નિયમોની ઐસી કી તૈસી, બધુ ભગવાન ભરોસે...

By GS Team
19 Jul 20202 mins read
This article was originally published on 19 Jul 2020
હોટેલોમાં કવોરન્ટાઇનના નિયમોની ઐસી કી તૈસી, બધુ ભગવાન ભરોસે...

અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર

કોરોનાની મહામારી વચ્ચે અત્યાર સુધી વિદેશથી આવતાં નાગરિકોને અમદાવાદ અને સુરતમાં કવોરન્ટાઇન કરવાની સુવિધા ન હતી. આ વિદેશી નાગરિકોએ અન્ય જિલ્લામાં 14 દિવસ સુધી કવોરન્ટાઇન થવુ પડતું હતું.

હવે સરકારી બાબુઓએ નિયમમાં છુટછાટ આપતાં હવે ગમે તે હોટલમાં કવોરન્ટાઇન થઇ શકાય છે જેના કારણે વિદેશી નાગરિકો પોતાના ઘરની નજીક નામપુરતી સુવિધા સાથેની હોટલમાં કવોરન્ટાઇન થઇ રહ્યાં છે જેથી કોરોનાના સંક્રમણની દહેશત વધી છે. એટલું જ નહીં, હોટલોમાં ય કવોરન્ટાઇનના નિયમોની ધજ્જીયા ઉડાવાઇ રહી છે. બધુય રામભરોસે ચાલી રહ્યુ છે. 

ગુજરાતમાં અત્યારે વંદે ભારત મિશન હેઠળ વિદેશી નાગરિકો વતન પરત ફરી રહ્યાં છે. વિદેશી નાગરિકો માટે 7 દિવસ સુધી ઇન્સ્ટિટયુશનલ કવોરન્ટાઇન અને ત્યારબાદ 7 દિવસ હોમ કવોરન્ટાઇન થવુ ફરજિયાત છે.

શરૂઆતના તબક્કામાં એવો નિયમ હતોકે, વિદેશી નાગરિક પોતાના શહેર કે જિલ્લામાં કવોરન્ટાઇન થઇ શકે નહીં. બીજા જિલ્લામાં હોમ કવોરન્ટાઇન થવુ પડે.પણ સરકારી બાબુઓએ નિયમમાં બદલાવ કરીને હવે વિદેશના નાગરિકોને પોતાના શહેરમાં કવોરન્ટાઇન થઇ શકે તેવી છુટ આપી દીધી છે. 

સૂત્રોના મતે, અત્યારે ગુજરાતમાં કોરોનાના કેસો દિનપ્રતિદીન વધી રહ્યાં છે. હવે પરિસિૃથતી એવી નિર્માણ થઇ છેકે, વિદેશથી આવતાં નાગરિકો પોતાના ઘર નજીકની સસ્તી હોટલમાં રહીને કવોરન્ટાઇન થાય છે. 

હોટલોમાં ય કવોરન્ટાઇનના નિયમોની એસીતૈસી થઇ રહી છે કેમકે, જયાં વિદેશી નાગરિકો કવોરન્ટાઇન થયા હોય તે હોટલનો સ્ટાફ ઘેર અવરવજર કરે છે. વિદેશના નાગરિકો પણ 2-4 દિવસ નામપુરતુ હોટલમાં રહીને ઘેર જતાં રહે છે.

આ ઉપરાંત એવી માહિતી મળી છેકે, ઘરની નજીક હોટલ હોવાથી વિદેશી નાગરિકો મિત્રો,સંબધી અને પરિવારના સભ્યોને મળે છે.આ સિૃથતી મોટાભાગે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરત જેવા શહેરોમાં થઇ છે. આ કારણોસર  કોરોનાનું સંક્રમણ વધે તેવી દહેશતથી લોકો ચિંતામાં મૂકાયા છે.

આ ઉપરાંત વિદેશથી આવતા નાગરિકો કવોરન્ટાઇનના નિયમો પાળે છે કે કેમ,હોટલમાં કવોરન્ટાઇનના નિયમો હેઠળ વિદેશી નાગરિકોને રાખવામાં આવે છે કે પછી બધુ લોલંલોલ ચાલે છે. આ બધાય પર નજર રાખનાર જ નથી.