દહેગામમાં નહેરુ ચોકડી પાસેનો માર્ગ જાળવણીના અભાવે ઉબડ-ખાબડ બન્યો
- રેલ્વે અંડર બ્રીજથી નહેરુ ચોકડી તરફ જવાના માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતાં અકસ્માતના ભયે પસાર થવું પડે છે
ગાંધીનગર, તા. 15 ડિસેમ્બર, 2020, મંગળવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં રેલ્વે અંડરબ્રીજથી નહેરુ ચોકડી તરફ જવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવા પામ્યો છે. તંત્ર દ્વારા જાળવણી કરવામાં નહીં આવતાં ઉબડ-ખાબડ બની ગયેલા માર્ગ ઉપર પસાર થતાં વાહનચાલકોને હાલમાં અકસ્માતના ભયે અવર જવર કરવી પડે છે.તો બીજી તરફ અંડરબ્રીજના માર્ગમાં મસમોટા ખાડા વાહનચાલકો માટે જોખમી બન્યાં છે. સત્વરે તંત્ર દ્વારા માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ગાંધીનગર જિલ્લામાં આવેલાં દહેગામ શહેરમાં થોડા સમય અગાઉ મુખ્ય અને આંતરિક માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષની ચોમાસાની મોસમમાં મોટાભાગના માર્ગો ધોવાઇ જવાના કારણે ઠેકઠેકાણે બિસ્માર અને ઉબડ - ખાબડ થઇ ગયાં છે. તો બીજી તરફ નહેરૂ ચોકડીથી રેલ્વે અંડર બ્રીજ જવાનો માર્ગ પણ હાલમાં અવર જવર કરતાં વાહનચાલકો માટે જોખમી બન્યો છે.
આ માર્ગ ઉપર રોજના અસંખ્ય વાહનોની અવર જવર બંને તરફથી થતી હોય છે. ટુંકાગાળામાં બિસ્માર બનેલાં માર્ગો તંત્રની કામગીરીની પોલ પણ ખોલી રહ્યાં છે. તો સમગ્ર માર્ગમાં મસમોટા ખાડા પડી જવાથી વાહનચાલકોની કમરો પણ તુટી રહી છે. ત્યારે સ્થાનિક રહિશોને પણ અકસ્માતના ભયે અવર જવર કરવાની નોબત આવી છે.
ભારે અને હળવા વાહનોની સતત અવર જવરના પગલે અન્ય રાહદારીઓને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા સત્વરે આ માર્ગનું નવીનિકરણ તથા સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.