અંબોડના નદી કિનારાનો વારાણસીના ઘાટની જેમ વિકાસ કરવામાં આવશે
કેન્દ્રીય
ગૃહમંત્રીને રજુઆત થતાં જિલ્લા તંત્રને પર્યટન સ્થળ વિકસાવવા માટે રૃપરેખા તૈયાર
કરવા આદેશ
માણસા:
માણસા પંથક સહિત સમગ્ર
દેશભરમાં મીની પાવાગઢના નામથી પ્રચલિત એવા તાલુકાના અંબોડ ગામના નદી કિનારે
સામાજિક ક્રિયાઓ અને ઉત્તર ક્રિયાઓ માટે લોકોને અગવડતાઓના કારણે પડતી હાલાકીને
જોતા માણસાના સામાજિક અગ્રણી દ્વારા આ વિસ્તારને પણ કાશીની જેમ વિકસાવવામાં આવે તો
ઉમદા લોક સેવા પુરી પાડી શકાય તેમ છે અને આ વિચારને સાકાર કરવા માટે માણસાના વતની
અને કેન્દ્રીયમંત્રીને પત્ર લખી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જેને તેઓએ
સ્વિકારી લઇ તંત્રને પ્રક્રિયા હાથ ધરવા માટે સૂચના આપી હતી.
માણસા તાલુકાના
અંબોડના અતિપ્રાચીન મીની પાવાગઢ તરીકે સમગ્ર પંથકમાં પ્રચલિત એવા તીર્થધામ મહાકાળી
મંદિર કે જ્યાં દર્શન કરવા અને નીલકંઠ મહાદેવ ખાતે ઉત્તર ક્રિયાઓ તેમજ નદી કિનારે
ચૌલક્રિયા અને ધાર્મિક પ્રસંગો માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જે માટે
સ્થાનિક મંદિરના શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ દ્વારા લોક માધ્યમથી અને સેવા હાથ ધરાઇ
છે. તેમ છતાં લોકોની પુરતી વાસ્તવિક મદદ થઇ શકતી નથી તેવું માણસા પંથકના સામાજિક
સેવાભાવી અને વિધ્નેશ્વરી પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઇ વ્યાસને
લાગતા તેઓએ જો આ નદીના કિનારાને પણ વારાસણીના ગંગાઘાટની જેમ વિકસાવવામાં આવે તો
અહીં વિકાસની સાથે સાથે પર્યટન સ્થળ તરીકે પણ આ વિસ્તારનો વિકાસ થઇ શકે અને લોકોને
જરૃરી સુવિધાઓ પણ પૂરી મળી શકે તે માટે પોતાના વિચારને સાર્થક કરવા માટે માણસાના
વતની અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને અને મુખ્યમંત્રી રૃપાણીને પત્ર લખી
પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જે ઉમદા અને સરાહનીય લાગતા કેન્દ્રીય ગૃહ મંત્રી
દ્વારા આ અંગે ઝડપી યોગ્ય વિકાસ કાર્ય થાય તે માટે તંત્રને સૂચના આપી હતી. જેના
ભાગરૃપે કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી પર્યટન સ્થળના વિકાસની રૃપરેખા તૈયાર કરવા
માટે માણસા મામલતદારને સૂચના આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટના અમલીકરણથી માણસા
પંથકના નદીકિનારાને પણ બનારસની જેમ વિવિધ ઘાટની સાથે અનેકવિધ સુવિધાઓ તેમજ ધર્મ
ભક્તિનો સમન્વય જોવા મળશે.