ભાડુઆતે મારેલું તાળું તોડીને માલિક દ્વારા સામાન સગેવગે કરી દેવાયો
Updated: Mar 2nd, 2024
- હુજરત પાગા વિસ્તારમાં આવેલા ગોડાઉનના 60 વર્ષ જુના ભાડુઆત દ્વારા મારેલું તાળું ગોડાઉનના માલિક દ્વારા તોડી નાખી સામનનો નિકાલ કરી દેવામાં આવતા સીટી પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.02 માર્ચ 2024,શનિવાર
વડોદરાના સમા સાવલી રોડ રામ એટર્નીયામાં રહેતા કિશનભાઇ દ્વારકાદાસ પમનાણીએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અગાઉ અમે વારસિયા સિંધુ પાર્કમાં રહેતા હતા હું તથા મારો દીકરો આશિષ ભેગા મળી છેલ્લા 60 વર્ષથી નવા બજાર રોકડનાથ મંદિર પાસે દ્વારકાદાસ અને કંપની નામની પેઢી ચલાવીએ છીએ અમે છૂટક તેમજ જથ્થાબંધ પ્લાસ્ટિકની બેગોનો વેપાર કરીએ છીએ જેનું એક ગોડાઉન હઝરત પાગા ઠક્કર ચાલ ખાતે છે જે છેલ્લા 60 વર્ષથી અમે ભાડે રાખ્યું છે અને એક વર્ષથી જરોદ કોટંબી ખાતે પણ ગોડાઉન રાખ્યું છે.
60 વર્ષ અગાઉ મારા પિતાએ બાપુરામ ગણપતરામ ઠક્કર એન્ડ બ્રધર્સ પાસેથી માસિક 40.50 લેખે આ ગોડાઉન ભાડે રાખ્યું હતું. તે સમયે ગોડાઉન ભાડે રાખવા બદલ કોઈ કરાર કર્યો ન હતો કે દસ્તાવેજ પણ કર્યો ન હતો. મારા પિતાજી વર્ષ 1993માં ગુજરી ગયા ત્યારબાદ મારા પિતાની પેઢીનો પ્રોપરાઇટર હું છું. આ ગોડાઉનનો કોર્પોરેશનનો વેરો લાઈટ બિલ અને સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસીનો વીમો દ્વારકાદાસ કંપનીના નામે આવે છે.
વર્ષ 2022 માં આશિષ ઠક્કરે મને જણાવ્યું હતું કે આ મિલકત બાપુ રામ ઠક્કર એન્ડ બ્રધર્સના વારસદાર નીતાબેન ત્રિભુવનદાસ ઠક્કર પાસેથી ખરીદી છે. તેઓ મિલકત ખાલી કરવા જણાવતા હતા પરંતુ અમે ના પાડી હતી. જેથી આશિષ ઠક્કરે અમારા વિરુદ્ધ લેંડગ્રેબિંગની ફરિયાદ આપી હતી. જેના મંજૂર થઈ હતી ત્યારબાદ આશિષ ઠક્કર અવારનવાર ગોડાઉન ખાલી કરવા માટે બોલાચાલી ઝઘડો કરતો હતો.
ગત 11મી ફેબ્રુઆરીએ બપોરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં અમારી ગેરહાજરીમાં આશિષ જેંતીલાલ ઠક્કર રહેવાસી નારાયણ ઓરા અટલાદરાએ તાળું તોડી નાખ્યું હતું અને અમારો સામાનનો નિકાલ કરી દીધો હતો.