ઓનલાઇન શોપિંગ છેતરપિંડીના કેસોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં 750%ના દરે ધરખમ વધારો
image : Freepik
- સાયબર ક્રાઇમ ટોળી ગ્રાહકને લોભાવવા 80 ટકા ડિસ્કાઉન્ટ ઓફર પરંતુ કેશ ઓન ડિલિવરીની સગવડ આપતા નથી: વેપારીઓને 'ક્યુઆર' કોડ સ્કેન કરવા અને બોગસ જીએસટી નંબર મોકલીને છેતરે છે
વડોદરા,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર
હાલનાં સમયમાં લગભગ તમામ ઈ-કોમર્સ અને એમ-કોમર્સ પોર્ટલ મહા સેલ, બિગ ડીસ્કાઉન્ટ જેવી ઓફરો વેચાણ વધારવા અને ગ્રાહકોને આકર્ષવા માટે ઓફર કરતા હોય છે, હાલમાં જ પ્રાપ્ત થયેલા એક રિપોર્ટને આધારે ભારતમાં અંદાજિત 67 કરોડ ગ્રાહકો વિવિધ પ્રકારના ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કરીને ઓનલાઇન ખરીદી કરતા હોય છે, ઓનલાઇન ખરીદી ગ્રાહકોને સમય અને અંતરના અવરોધોથી ઉગારીને માત્ર ફિંગર ટીપ પર ઉત્પાદનો અને સેવાઓને ખરીદવાની સુવિધાઓ પ્રદાન કરે છે, કિંમતી વસ્તુઓ અને બગડી જાય તેવા પદાર્થોને બાદ કરતાં તમામ જીવન જરૂરીયાત માટેની ઉપયોગી વસ્તુઓ ગ્રાહકો આજના સમયમાં ઓનલાઇન ખરીદવાનું જ પસંદ કરે છે.
વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રકાશીત થયેલ અહેવાલો મુજબ પાછલાં પાંચ વર્ષોમાં ઓનલાઇન ખરીદી કરનારાઓની ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર 550 ટકાનો વધારો થવા પામ્યો છે. જયારે આટલી મોટી સંખ્યામાં ગ્રાહકો, વેપારીઓ ઈ-કોમર્સ અને એમ-કોમર્સ પોર્ટલ સાથે જોડાયેલા હોય ત્યારે સાયબર ધુતારાઓ નિત નવા હથકંડા અપનાવીને, નવી નવી “અશક્ય ઓફર” આપીને, તેમજ લોભામણી લાલચો આપીને, ગ્રાહકો અને વેપારીઓને છેતરવા અને તેમનાં બેન્ક એકાઉન્ટ ખાલી કરવા વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતાં હોય છે. આવી વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી અને બચવાના ઉપાયો નીચે મુજબ છે.
વિવિધ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી : લોભામણી ઓફરો
સાયબર ધુતારાઓ દ્વારા લોભામણી ઓફરોને સોશીયલ મીડીયાના માધ્યમ થકી પ્રસારિત કરે છે, પછી એ 'મેસેજના સ્વરૂપમાં હોય', 'એડ સ્વરૂપમાં હોય' અથવા તો એ કોઈ પ્રચલિત વેબસાઈટ ને ક્લોન કરીને, 'ક્લોન માધ્યમથી હોય' તેમજ કોઇ 'ફિશિંગ પેજના માધ્યમથી પણ હોઈ શકે છે, જયારે પણ આવા લોભામણી જાહેરાત દર્શાવતા વેબપેજની મુલાકાત લેવામાં આવે ત્યારે મોટાભાગની વસ્તુઓ પર 70 ટકાથી 90 ટકા સુધીના ભારે ધરખમ ડીસ્કાઉન્ટ જાહેર કરાતી હોય છે, અને જયારે કોઈ ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે તો ત્યાં તેને કેશ ઓન ડીલેવરી ઓપ્શન ઓફર કરવામાં આવતી નથી. ગ્રાહક પાસેથી વસ્તુના રૂપિયા ઓનલાઇન જ પડાવી લેવામાં આવે છે. વસ્તુ મોકલવામાં આવતી નથી. ગ્રાહકને જે પ્રોડક્ટ ડીસ્પેચ ટ્રેકિંગ આઈ.ડી મોકલવામાં આવે છે, તે પણ ઈન્ટરનેટ જનરેટેડ અને ફેક હોય છે.
બજારમાં જે વસ્તુઓની અછત હોય તે વસ્તુઓની ઓફરો સાયબર અપરાધીઓ સૌથી પહેલા બજારમાં જે વસ્તુઓની ઓફરો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે. તેની જાહેરાત કસ્ટમર ટુ કસ્ટમર ઈ-કોમર્સ પોર્ટલ ઉપર મૂકે છે, જ્યારે કોઈ ગ્રાહક એ વસ્તુને ખરીદવા ઈચ્છે છે, તો ત્યાં સૂચના લખેલી હોય છે કે વોટ્સએપ નંબર ઉપર સંપર્ક સાધવો , જ્યારે કોઈ ગ્રાહક વોટ્સએપ નંબર ઉપર સંપર્ક સાધે છે, ત્યારે એને સૌથી પહેલા ઓફર કરેલ કિંમતના 25 રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ જ ઓર્ડર કન્ફ્રર્મ થશે, તેવી માઈન્ડ ગેમ ગ્રાહક સાથે આચરવામાં આવે છે, જયારે ગ્રાહક 25 ટકા રકમ ચૂકવી દે છે, એટલે ફરી પાછો સાયબર અપરાધી સંપર્ક સાધીને "પ્રિપેઇડ પેમેન્ટ સિસ્ટમ” છે, આ પ્રોડક્ટ માટે તેમ જણાવીને ગ્રાહક પાસેથી બાકીની 75 ટકા રકમની પણ ડિમાન્ડ કરે છે, ત્યારબાદ જ વસ્તુ ડિલિવર્ડ થશે. હવે રકમ ચુકવેલ હોવાથી અને વસ્તુ સસ્તી હોવાથી ગ્રાહક 75% રકમ પણ ચૂકવી દે છે. છતાં પણ ગ્રાહકને વસ્તુ તેના આપેલા સરનામે નથી મળતી,
ત્યાર બાદ સાયબર અપરાધી ફરીથી ગ્રાહકને ફોન કરીને કહે છે, કે જે વસ્તુ તમે પસંદ કરી હતી, તે આઉટ ઓફ સ્ટોક છે,અને હવે તે પ્રોડક્ટ આવતા થોડો સમય લાગશે, પરંતુ તેનાથી વધુ સારી હાયર પ્રોડક્ટ સ્ટોકમાં છે,જો તમે 15 ટકા વધુ ચુકવશો તો ત્વરિત જ બે દિવસમાં વસ્તુ ડિલિવર્ડ થઈ શકે છે, આમ બીજા વધુ 15 ટકા પણ લૂંટવામાં આવે છે, અને વસ્તુ ડિલિવર્ડ પણ થતી નથી અને ત્યારબાદ ગ્રાહકના મોબાઈલને પણ બ્લોક કરી દેવામાં આવે છે.
વેપારીઓને જથ્થાબંધ ઓર્ડર આપવા અને છેતરવા માટે સૌથી પહેલાં સાયબર અપરાધીઓ વેપારીનો સંપર્ક સાધીને વેપારીને જથ્થાબંધ ઓર્ડર ઓફર કરે છે, વેપારી એક્વાર સાયબર અપરાધીની વાતમાં આવી જાય એટલે તેને 50 ટકા સુધીનું પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહીને વેપારી પાસેથી માત્ર તેની ઈ-વૉલેટસ ડિટેઈલ્સ માંગવામાં આવે છે, જો વેપારી બેન્કની ડિટેઈલ્સ આપવાની ના કહે તો જથ્થાબંધ ઓર્ડર કેન્સલ કરવો પડશે, કારણકે અમારી પાસે માત્ર ઈ-વૉલેટસ પેમેન્ટ મોડ જ પેમેન્ટ ચૂકવવા માટેનો છે, તેવું સાયબર અપરાધી દ્વારા વેપારીને કહેવામાં આવે છે. હવે કોઈ રીતે વેપારી ઓડૅર જતો કરવા ન માંગતો હોય, એટલે ઈ-વૉલેટસ ડિટેઈલ્સ કાં તો રજીસ્ટર કરે છે અથવા બીજાની ડિટેઈલ્સ શેર કરે છે, ત્યારબાદ સાયબર અપરાધી પહેલા પાંચ રૂપિયા જેટલી રકમ વેપારીના એકાઉન્ટમાં જમા કરી વેપારીનો વિશ્વાસ જીતે છે. ત્યારબાદ 'ક્યૂઆર' કોડ મોકલીને વેપારી પાસે સ્કેન કરાવીને વેપારીનું એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
વેપારીઓને સસ્તો માલ ઓફર લૂંટવાની રીત ભાતમાં સાયબર અપરાધીઓ જથ્થાબંધ વેપારીનો સ્વાંગ ધારણ કરીને અન્ય રાજ્યોના વેપારીઓનો સંપર્ક સાધે છે. બજાર કરતા ઓછા ભાવે માલ ઓફર કરવામાં આવે છે, પરંતુ શરત એટલી કે માલ માટે બીલની જે રકમ નિર્ધારિત થાય છે તે માલ લેનાર વેપારીએ ઓનલાઇન ચાર્જ પહેલા ટ્રાન્સફર કરવો પડશે. ત્યારબાદ જ માલ ડિલિવર થશે, તેવી શરત મૂકવામાં આવે છે. વેપારીનો વિશ્વાસ જીતવા માટે વેપારીને ખોટા જીએસટીવાળા બીલ પણ મોકલવામાં આવે છે.
જેથી વેપારી રૂપિયા ચૂકવી દે, ત્યારબાદ સાયબર અપરાધીઓ વેપારીને ફેક ટ્રાન્સપોર્ટ દસ્તાવેજો પણ મોકલે છે,જેનાથી વેપારીને દૃઢ વિશ્વાસ થઈ જાય ત્યારબાદ કાં તો માલ મોકલવામાં આવતો નથી અથવા તો જો માલ મોકલવામાં આવે તો કંઈક ભળતું જ મોકલવામાં આવે છે. આમ વેપારીઓને છેતરવામાં આવે છે.
ઓનલાઇન શોપિંગ છેતરપિંડીના કેસોની સંખ્યા વધી રહી છે:મયુર ભુસાવળકર
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનમાં નોંધાયેલા ઓનલાઇન શોપિંગ છેતરપિંડીના કેસોની સંખ્યા ભયજનક દરે વધી રહી છે, ઓગષ્ટ, 2016થી માર્ચ 2017 સુધીમાં ઓનલાઇન શોપિંગ છેતરપિંડીન્સ 997 કેસ નોંધાયા હતા. જયારે એપ્રિલ, 2017થી માર્ચ, 2018 સુધીમાં 2,441 કેસ નોંધાયા હતા, જયારે એપ્રિલ, 2018થી માર્ચ, 2019 સુધીમાં 4995 કેસ, અને એપ્રિલ, 2019થી નવેમ્બર, 2020 સુધીમાં 5620 કેસ, આમ માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં ઓનલાઇન શોપિંગ છેતરપિંડીના કુલ 14396 કેસ નોંધાયા હતા. આમ જે આંકડાકીય માહિતી દર્શાવે છે કે ઓનલાઇન શોપિંગ છેતરપિંડીને લગતા કેસોની સંખ્યામાં 550 ટકાનો વધારો છેલ્લા ત્રણ વર્ષમાં જોવા મળ્યો છે.
સાથે જ વર્તમાન પરિસ્થિતિમાં, આશરે 1 લાખ જેટલા ડોમેઈન નામોને દૂષિત ડોમેઈન તરીકે ઓળખવામાં આવ્યા છે, જે ડોમેઈન નામોને માત્ર મેઈલ દ્વારા અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જ ગ્રાહકોને છેતરવા માટે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.
આવી રીતના ફ્રોડથી બચવા માટે રાખવી જોઈતી તકેદારીઓમાં ખાસ કરીને સોશિયલ મીડિયા કે વેબસાઈટ બ્રાઉઝિંગ વખતે 'એડ' કે 'એડ્સ' લખેલ કોઈ પણ લીંક કે વેબસાઇટથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. તથાપેમેન્ટ કરતી વેળાએ વેલ્યુ પેયેબલ પાર્સલ અથવા કેશ ઓન ડીલેવરી ઓપ્શન જ પસંદ કરવો વધુ હિતાવહ છે, જયારે કોઈપણ કોમર્સ વેબસાઈટ પર વેલ્યુ પેયેબલ પાર્સલ અથવા કેશ ઓન ડીલેવરી ઓપ્શન તમને જોવા ન મળે તો એવી વેબસાઈટ પરથી ખરીદી કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત લિંકના માધ્યમથી આવેલ વિગતોને અનુસરવા કરતા મૂળભૂત વેબસાઈટ કે એપ્લિકેશન જોઈને જ ખરીદી અને નાણાકીય ટ્રાન્ઝેકશન કરવુ વધુ હિતાવહ છે. તથા 'એચટીટીપી'થી શરૂ થતા પત્રકની અંદર તમારી બેંકની, ઈ-વોલેટ કે કોઈપણ પ્રકારના કાર્ડની ડિટેલ્સ ક્યારેય દાખલ કરવી નહીં, કારણકે આવી વેબસાઈટ પર તમારો અગત્યનો ડેટા કયારેય એન્ક્રિપ્ટેડ હોતો નથી. અને જે ઓફરો તમને અચંબિત કરી દે, તેવી લીંકને ક્યારેય ફોલો કરવી જોઈએ નહીં. તેમજ 'ક્યુઆર' કોડને સ્કેન કરવાથી બચવું જોઈએ. ધ્યાનમાં રાખવું કે પૈસા મેળવવા માટે 'ક્યુઆર' કોડને સ્કેન કરવાની જરૂર હોતી નથી. તેવી જ રીતે બેંક કે બેંકનો અધિકારી કોઈપણ પરિસ્થિતિમાં તમારી પાસે પિન નંબર તેમજ સીવીવી નંબર નથી માંગી શકતા એ વાતને ક્યારેય ભૂલવી જોઈએ નહીં.
ઉપરાંત વેપારીઓને જયારે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ પાસેથી ઓનલાઇન ખુબ જ મોટો ઓર્ડર મળે કે કોઈ ઇન્ક્વાયરી કરે તો સચેત થવું અત્યંત જરૂરી છે. સાયબર અપરાધીઓ વેપારીઓને છેતરવા માટે આર્મી, સરકારી અધિકારી, સરકારી સંસ્થા, પોલીસ હેડક્વાર્ટર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. ફેક આઈડેન્ટીટી કાર્ડ પણ મોકલાઈનવિશ્વાસ જીતવા માટે પ્રયત્ન કરતા હોય છે એમ છતાં સુરક્ષિત વેબ સાઈટ કે પોર્ટલ પરથી જ શોપિંગનો આગ્રહ રાખવો જરૂરી બને છે.
જીએસટીવાળા બીલ અને ટ્રાન્સપોર્ટ દસ્તાવેજોને જાણકાર વ્યક્તિઓ પાસેથી ચકાસાવવા જરૂરી છે. કારણ કે જો કોઈ વ્યક્તિ વેપાર માટે ખૂબજ ઉતાવળ કરતો હોય, સતત ફોન કે મેસેજ કરતો હોય તો પણ વેપાર કરતા પહેલા સાવધ થવું જરૂરી બની જાય છે. ઓનલાઇન વેપારમાં કયારેય ઈમોશનલ થવાની સલાહ સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે કરી છે.