વડોદરામાં ઐતિહાસિક 'અમૃત વાવ'ની ગંદકી સાફ કરી સ્વચ્છ કરાશે
- નિયમિત સફાઈ માટે સૂચના
- 131 વર્ષ જૂની વાવ જોવા પ્રવાસીઓની અવરજવર રહે તેવા પ્રયાસ
- વાવ આસપાસના વધારાના બંધ કામ દૂર કરાશે
વડોદરા,તા.9 મે 2023,મંગળવાર
શહેરમાં ગાયકવાડી શાસન વખતની ભવ્ય ધરોહર નિષ્કાળજીના પરિણામે દયનીય હાલતમાં મુકાઈ ગઈ છે, તેનો વધુ એક પુરાવો પ્રતાપ નગર વિસ્તારમાં આવેલી અમૃતવાવ છે. 131 વર્ષ પહેલાં બનાવેલી આ વાવ કચરા અને ગંદકીથી ભરાઈ જતા તેની દુર્દશા થઈ છે. વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ આ વાવનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે ઐતિહાસિક વાવની હાલત જણાઈ આવી હતી. તેમણે અહીં ખાળ કુવો મશીન મુકાવી બે દિવસ સુધી ગંદુ પાણી ઉલેચાવીને વાવમાંથી કચરો બહાર કઢાવી પાણી ચોખ્ખું રહે તે તેમજ નિયમિત સફાઈ માટે સૂચના આપી છે. આ ઉપરાંત હાલની જે સ્થિતિ છે તેમાં પણ સુધારો કરાવાશે. વધારાના જે કંઈ બાંધકામ થયા છે તે હટાવાશે. આ ઐતિહાસિક વાવ જોવા પ્રવાસીઓની અહીં અવરજવર રહે એવા પણ પ્રયાસ થશે. પ્રતાપનગર-નવગ્રહ મંદિર નજીક આ અમૃત વાવ આવેલી છે. પ્રવાસીઓ માટે ગોવિંદ ભોજન ગૃહ સયાજીરાવે 1892-93 માં બનાવેલું ત્યારે આ વાવ બનાવી હતી. આ વાવનું નામ ‘અમૃત વાવ' પાડ્યું હતું. વાવ બાંધવાનો કુલ ખર્ચ રૂા.5755 થયો હતો.
સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને વધુમાં કહ્યું હતું કે પ્રતાપ નગર રેલવે ગોદી પાસે ગોવિંદ ભોજન ગૃહ બનાવેલું તે એ વખતના સિસ્ટમના એક ભાગરૂપ હતું. મુસાફરો આવતા ત્યારે અહીં મુસાફર ખાનામાં વિરામ કરવા માટે રોકાતા હતા. ગોવિંદ ભોજન ગૃહ ઉપર 1892-93 ના ઉલ્લેખ સાથે મૂકેલી તકતીમાં લખેલું છે કે સયાજીરાવ મહારાજ ત્રણ વખત યુરોપ ખંડમાં જઈને ત્યાંના દેશોની રચના, વિદ્યા, વેપાર, કળા, રાજ્ય કારભાર તપાસીને આવ્યા હતા. વળી, મહારાણી વિક્ટોરિયા તથા ઇંગ્લેન્ડનું બહુમાન પોતાની રાજ પત્ની સાથે મેળવી આવ્યા હતા.