'નાસા'એ લોન્ચ કરેલા રોકેટ પ્રોગ્રામના હેડ ડો.આરોહ બડજાત્યા મૂળ વડોદરાના છે
સૂર્ય ગ્રહણની પૃથ્વી ઉપર શું અસર થાય છે તેની જાણકારી આ રોકેટ એકત્ર કરશે
સૂર્ય ગ્રહણની પૃથ્વી ઉપર અને પૃથ્વીના વાતાવરણમાં ક્યા પ્રકારની અસર થાય છે તેની જાણકારી મેળવવા માટે સોમવારે સૂર્ય ગ્રહણ વખતે 'નાસા'એ અમેરિકાના વોલોપ્સ આઇલેન્ડ પરથી અવકાશમાં ૩ રોકેટ છોડયા હતા. તે પૂર્વે વર્જિના વોલોપ્સ સ્પેશ સેન્ટર પર પોતાની ટીમ અને ૩ રોકેટ સાથે ડો. આરોબ બડજાત્યા લોખંડની ગ્રીલના પગથીયા ઉપર ઉભેલા નજરે પડે છે. |
વડોદરા : ભારતમાં સોમવારે રાત્રીના ૯.૩૦ વાગ્યા હતા ત્યારે નોર્થ અમેરિકામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ થયુ હતું. ૨૦ વર્ષ બાદ નોર્થ અમેરિકામાં પૂર્ણ સૂર્ય ગ્રહણને જોવા માટે લાખો લોકો કાળા ચશ્મા લગાવીને ઘરની છત ઉપર અને મેદાનોમાં આવી ગયા હતા. આ સમયે જ અમેરિકાની સ્પેશ એજન્સી 'નાસા' (નેશનલ એરોનોટિકસ એન્જ સ્પેશ એડમિનિસ્ટ્રેશન)એ સૂર્ય ગ્રહણની પૃથ્વી પર થતી અસરો જાણવા માટે ૩ રોકેટ અવકાશમાં છોડયા હતા. ભારત માટે, ખાસ કરીને વડોદરા માટે ગૌરવની વાત એ છે કે આ રોકેટ મિશનના હેડ વડોદરાના ડો.આરોહ બડજાત્યા છે.
સોમવારે અમેરિકામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ વખતે રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા, ડો.આરોહ રોકેટ સાયન્ટિસ્ટ છે
![]() |
તસવીરમાં ઉપર ડાબેથી અપૂર્વ બડજાત્યા, ડો.આરોહના પત્ની અને ડો.આરોહ, બેસેલામાં નીચે આરોહના પિતા અને માતા સાથે બાળકો |
ડો.આરોહના બહેન અપૂર્વ બડજાત્યા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'ગત ઓક્ટોબરમાં પણ અમેરિકામાં સૂર્ય ગ્રહણ હતુ ત્યારે પણ આરોહની આગેવાની હેઠળ રોકેટ છોડીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. સોમવારે પૂર્ણ સૂર્યગ્રહણ હોવાથી ફરીથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. હકિકતે આરોહે અગાઉ આ વિષય પર એક રિસર્ચ કર્યુ હતુ અને તેના રિસર્ચ પેપરને માન્ય રાખીને 'નાસા'એ 'એટ્મોસ્ફેરિક પરટર્બેશન એરાઉન્ડ એક્લિપ્સ પાથ - એપીઇપી' પ્રોગ્રામ લોન્ચ કર્યો છે જેની આગેવાની આરોહને સોંપવામાં આવી છે. આરોહ ૨૫ વર્ષથી અમેરિકામાં ફ્લોરિડા ખાતે રહે છે.
ગ્રહણના કારણે પૃથ્વીના આયનોસ્ફિયરમાં થતા ફેરફારોની જાણકારી મળશે : ડો.આરોહ બડજાત્યા
નાસાના રોકેટ પ્રોગ્રામ 'એપીઇપી'ના હેડ ડો. આરોહ બડજાત્યાએ કહ્યું હતું કે'રોકેટ દ્વારા પૃથ્વીના આકાશમાં જે પ્રદેશનો અભ્યાસ કરવામાં આવ્યો તેને આયનોસ્ફિયર કહેવામાં આવે છે. તે પૃથ્વીની સપાટીથી ૫૦ માઇલ ઉપર આવેલો વાતાવરણનો એક ભાગ છે જે ૩૦૦ માઇલ સુધી વિસ્તરેલો છે. વૈજ્ઞાાનિકો વધુ સારી રીતે સમજવા માંગે છે કે અસામાન્ય ઘટનાઓની સરખામણીમાં ગ્રહણ વખતે આયનોસ્ફિયર કેવી રીતે બદલાય છે,
આપણા તમામ ઉપકરણો રેડિયો તરંગ આધારિત છે અને ગ્રહણ રેડિયો તરંગને ખલેલ પહોંચાડે છે
આયનોસ્ફિયરને હળવા લહેરવાળુ એક તળાવ અનેે ગ્રહણને પાણીમાં દોડતી મોટરબોટ ગણી લો. જેમ મોટર બોટ પાણીમાં તરંગ સર્જે તે રીતે ગ્રહણ પણ આયનોસ્ફિયરમાં તરંગો સર્જે છે. તેનાથી પૃથ્વીના વાતવરણમાં ગરબડ સર્જાય છે. આ ગરબડ રેડિયો તરંગને અસર કરે છે. રોકેટ દ્વારા આ અભ્યાસ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે પૃથ્વી ઉપર માનવ જીવન હવે રેડિયો તરંગ આધારિત થઇ ગયુ છે. તમામ ઉપકરણો રેડિયો તરંગોથી જોડાયેલા છે. આકાશમાં આવતુ પરિવર્તન રેડિયો તરંગોને અસર કરે તો તેના શું પરિણામ આવી શકે અને તેની સામે સુરક્ષા કઇ રીતે પુરી પાડવી તે અંગે અભ્યાસ થઇ છે.'
ગ્રહણ દરમિયાન ૩ તબક્કામાં રોકેટ છોડવામાં આવ્યા
ગ્રહણની ૪૫ મિનિટ પહેલા, ગ્રહણ વખતે અને ગ્રહણની ૪૫ મિનિટ પછી એમ ત્રણ રોકેટ છોડવામાં આવશે, રોકેટ માત્ર ૧૦ થી ૧૫ મિનિટ માટે ઉડાન ભરશે. તે સમય દરમિયાન રોકેટ મૂલ્યવાન ડેટા પાછા મોકલશે જે ફક્ત ગ્રહણ દરમિયાન જ એકત્રિત કરી શકાય છે. પછી રોકેટ સમુદ્રમાં તૂટી પડશે. આ રોકેટ બનાવવા પાછળ વર્ષોની મહેનત લાગી છે. આ ટેકનોલોજીના સાઉન્ડ રોકેટ કહે છે. આ રોકેટ વર્જિના વોલોપ્સ સ્પેશ સેન્ટર પરથી છોડવામા આવશે.