જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવના 41 કેસ મળ્યા
- માંડલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત
- અમદાવાદના ગામડાઓમાં સંક્રમણે જોર પકડયું, દસક્રોઇમાં 200, ધોળકામાં કુલ કેસ 297
અમદાવાદ,તા.20 જુલાઇ 2020, સોમવાર
અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવના નવા ૪૧ કેસ સામે આવ્યા છે. જેમાંથી માંડલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. ધોળકામાં ૧૦, સાણંદમાં ૯, બાવળામાં ૮, દેત્રોજમાં ૪, ધંધૂકામાં ૩, ધોલેરામાં ૧ , વિરમગામમાં ૨ અને માંડલમાંથી ૧ કેસ કોરોના પોઝિટિવનો મળી આવ્યો હતો. જિલ્લામાં કુલ કેસનો આંકડો ૧,૦૯૪ થઇ ગયો છે. જેમાંથી ૫૮ લોકોના મોત થયા છે. જ્યારે સારી બાબત એ છેકે ૯૨૭ લોકો કોરોના મહામારીને હાર આપીને સાજા થયા છે.
તા. ૧૯ જુલાઇને રવિવારે જિલ્લામાં ૨૬ કેસ નવા નોંધાયા બાદ આજે સોમવારે જિલ્લામાં વધુ ૧૫ નવા કેસ કોરોના સંક્રમણના સામે આવ્યા હતા. સોમવારે સાણંદમાં રેવારી એમ્પ્લોઇ કોલોની, સુક્રુતિ વિહાર બ્લોક, છારોડી અને ઇયાવામાં મોહિક કેમિકલ ,નટરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોરૈયામાંથી કેસ મળ્યા છે. ધોળકામાં ખારાકુઇ શેઠજી ફળી, મહાલક્ષ્મી માતાની પોળ, મારૂતિ નગર સોસાયટી, જીએચબી મગીયામાંથી કેસ મળ્યા હતા.
દસક્રોઇમાં શાંતિગ્રામમાં અદાણી મેડોવ્સ અને ચાંદિયેલ ગામમાંથી કોરોનાનો કેસ મળ્યો હતો. ધંધૂકામાં લીમડીની ફળીમાંથી બે કેસ મળ્યા હતા તેમજ એક કેસ વિરમગામમાંથી મળ્યો હતો.
દસક્રોઇ તાલુકામાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૨૦૦ સુધી પહોંચી ગયો છે. દસક્રોઇમાં કણભા, પસુંજ, બોપલ, બારેજા, ભુવાલડી, જેતલપુર, ગતરાડ અને ચાંદિયેલ ગામમાંથી કેસ મળ્યા છે. ધોળકામાં કુલ સંક્રમણનો આંકડો ૨૯૭, સાણંદમાં ૨૫૦, વિરમગામમાં ૧૨૦, માંડલમાં ૪૦, ધોલેરામાં ૧૦, ધંધૂકામાં ૩૫, દેત્રોજમાં ૨૪ અને બાવળામાં ૧૧૮ કેસ નોંધાયા છે.
જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાની સાથે ૬,૬૭૯ લોકોને હાલમાં' હોમ કર્વારન્ટાઇન'માં રખાયા છે. અમદાવાદ જિલ્લામાં ૧૬ ધનવન્તરી રથ ફરતા કરાયા છે. જેના થકી અત્યાર સુધીમાં ૪૮,૨૪૫ લોકોને આયુર્વેદ, હોમિયોપેથી અને એલોપેથી દવાઓનું મફતમાં વિતરણ કરાયું છે. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં ૧૨૩ ધનવન્તરી રથ ફરતા કરીને ૫.૪૯ લાક લોકોને મફત દવાઓ અપાઇ છે.