Get The App

કોર્પોરેશને 79 ઢોરવાડા હટાવી 1.04 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
કોર્પોરેશને 79 ઢોરવાડા હટાવી 1.04 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવી 1 - image

૧૩ દિવસ સુધી સતત ચાલેલી ઝુંબેશ દરમિયાન

૮૨૯ કરતા વધુ પશુઓને હટાવવામાં આવ્યા ઃ નવા અને જૂના વિસ્તારમાં આગામી દિવસમાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર ઢોરવાડા હટાવવાની ૧૩ દિવસની ઝુંબેશ દરમિયાન કોર્પોરેશન દ્વારા ૭૯ ઢોરવાડા હટાવીને ૧.૦૪ લાખ ચોરસ મીટર સરકારી જગ્યા ખાલી કરવામાં આવી છે. જેની બજાર કિંમત અબજો રૃપિયા થવા જાય છે. તો આગામી દિવસમાં પણ નવા અને જૂના વિસ્તારોમાં આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.

ગાંધીનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે અને જે અંતર્ગત શહેરમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવતા પશુઓને જપ્ત કરવાની સાથે તેના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે. એટલું જ નહીં જે પશુ માલિકો પશુ રાખવા માગતા હોય તેમણે કોર્પોરેશન પાસેથી નિયત સમય મર્યાદામાં લાયસન્સ પણ મેળવવાનું રહેશે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી સરકારની ખુલ્લી જગ્યામાં મસ મોટા ઢોરવાડા ઉભા થઈ ગયા હતા અને આ પશુઓ શહેરના માર્ગો ઉપર રખડતા જોવા મળતા હતા. જેના પગલે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા થઈ ગયેલા ઢોરવાડા હટાવવા માટે ૧૩ દિવસની ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર શહેરના સેક્ટર ૨, ,,, , ૧૨ ,૧૩ ,૧૬ ,૨૦, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯,૩૦ અને કુડાસણ તેમજ વાસણા હડમતીયા વિસ્તારમાંથી ૭૯ જેટલા ગેરકાયદેસર ઢોરવાડા હટાવવામાં આવ્યા હતા. જેમાંથી ૮૨૯ પશુઓ સાથે અહીં ગેરકાયદેસર રીતે રહેતા પરિવારોને ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન સરકારની અબજો રૃપિયાની કહી શકાય તેવી ૧.૦૪ લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે હવે આગામી દિવસમાં કોર્પોરેશન દ્વારા નવા અને જૂના વિસ્તારમાં બાકી રહેલા ઢોરવાડાઓ હટાવવાની કામગીરી શરૃ કરવામાં આવનાર છે તો જે પશુ માલિકો દ્વારા તેમની જગ્યામાં કાયદેસર રીતે પશુઓ રાખવામાં આવે છે તેમને ટેગિંગની કામગીરી શરૃ કરવામાં આવશે.


Google NewsGoogle News