ફતેહસિંહ મ્યુઝિયમમાં રાજા રવિ વર્માના સૌથી શ્રેષ્ઠ ચિત્રોનું કલેક્શન
હાલનું ફતેહસિંહ મ્યુઝિયમ મહારાજા સયાજીરાવની શાળા તરીકે બાંધવામાં આવ્યું હતું
વડોદરા, તા. 17 મે 2019, શુક્રવાર
દેશ-વિદેશના અન્ય મ્યુઝિયમની સરખામણીમાં વડોદરામાં આવેલા ફતેહસિંહ મ્યુઝિયમમાં રાજા રવિ વર્માના શ્રેષ્ઠ ચિત્રો છે. મહારાજા સયાજીરાવના શાસનકાળ દરમિયાન રાજા રવિ વર્મા બરોડામાં રહીને અનેક ચિત્રો બનાવ્યા હોવાથી બરોડાના મ્યુઝિયમની આર્ટ ગેલેરીમાં સૌથી વધારે રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે.
તા.૧૮ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિનની થીમ 'મ્યુઝિયમ એક સાંસ્કૃતિક હબઃ ધ ફ્યુચર ઓફ ટ્રેડિશન' છે જેના અંતર્ગત ફતેહસિંહ મ્યુઝિયમમાં ફ્રી ગાઈડ વોક ઉપરાંત બાળકો અને વાલીઓ માટે રાજા રવિ વર્માના ચિત્રોની સ્ટોરી ટેલીંગનું પણ આયોજન કરાયું છે. ફતેહસિંહ મ્યુઝિયમ વિશે વાત કરતા ક્યુરેટર અને સેક્રેટરી મંદા હિંગુરાવે જણાવ્યું કે,હાલનું ફતેહસિંહ મ્યુઝિયમ ૧૮૭૧માં મહારાજા સયાજીરાવની શાળા તરીકે બાંધવામાં આવ્યું હતું. ગાયકવાડ પરિવારના તમામ બાળકો આ શાળામાં જ ભણ્યા છે.
ઈ.સ.૧૯૪૦માં રણજિતસિંહ ગાયકવાડના પાંચમાં જન્મદિન પર તેમના પિતા મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ તરફથી ટોય ટ્રેન ભેટમાં આપવામાં આવી હતી. ત્યારે રણજિતસિંહ લક્ષ્મી વિલાસ પેલેસથી આ શાળા સુધી ટોય ટ્રેનમાં બેસીને આવતા હતા. આઝાદી પછી મોટાભાગના મહેલ બંધ કરી દેવાતા ત્યાંની ચીજવસ્તુઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે લાવવામાં આવી હતી ત્યારે આ કિંમતી વસ્તુઓ લોકો જોઈ શકે તે માટે શાળાના સ્થાને ૧૯૬૧માં ફતેહસિંહ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી.આજે પણ મ્યુઝિયમ સ્કૂલ જ છે ફક્ત ભણાવવાની પધ્ધતિ થોડી અલગ થઈ છે.
આ મ્યુઝિયમમાં ગુજરાતના અન્ય સંગ્રહાલયો કરતા સૌથી વધુ પાઘડીઓનું કલેક્શન છે જે ત્રણ વર્ષ પહેલા જ લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ફતેહસિંહ મ્યુઝિયમમાં રાજા રવિ વર્માના ૩૦થી વધારે ઓરિજનલ ચિત્રો આવેલા છે. એ સમયમાં આર્ટ સામાન્ય લોકો માટે નહોતુ જેથી રાજા રવિ વર્મા યુરોપિયન ટેકનીક શીખીને ભારતીય સંસ્કૃતિ આધારિત ચિત્રો બનાવ્યા હતા. તેમણે મહાભારત, રામાયણ, કૃષ્ણ જન્મ વગેરેના કથનો ચિત્રના માધ્યમથી કહીને લોકોને આર્ટ તરફ આકર્ષ્યા હતા.