પૂર્વ અમદાવાદમાં મંદિરો, ગુરૂદ્વારા રોશનીથી જગમગી ઉઠયા
- દેવદિવાળી,ગુરૂનાનક જન્મજ્યંતિની ધામધૂમપૂર્વક ઉજવણી
- પંદર દિવસ લાંબા દિવાળી પર્વની પૂર્ણાહુતિ થઇ, તમામ ઘર દીપ પ્રાગટયથી પ્રકાશમય બન્યા
Updated: Nov 19th, 2021
અમદાવાદ,તા.19 નવેમ્બર 2021, શુક્રવાર
પૂર્વ અમદાવાદમાં શુક્રવારે દેવદિવાળી અને ગુરૂનાનક જન્મ જ્યંતિની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ મંદિરોમાં યજ્ઞાો, પૂજાપાઠ, અન્નકુટ સહિતની ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પૂનમ પણ હોવાથી મંદિરોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. ગુરૂદ્વારા અને દરબારમાં પણ શીખ-સિંધી સમાજ દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
દેવદિવાળી નિમિતે શુક્રવારે પૂર્વ અમદાવાદમાં અમરાઇવાડી જોગેશ્વરી માર્ગ પર આવેલી જાગૃતિનગરમાં મેલડી માતાજીના મંદિરે ૧૯ મો પાટોત્સ યોજાયો હતો. વસ્ત્રાલ રામજી મંદિર, જશોદાનગર , ખોખરા રામજી મંદિર, હાટકેશ્વરમાં ખોડિયાર મંદિર, વટવા જીઆઇડીસી સંકટ મોચન હનુમાન મંદિર, હાથીજણ ગામ ખાતેના મંદિરોમાં નવચંડી યજ્ઞા, હોમ-હવન, પૂજા પાઠના કાર્યક્રમો યોજાયા હતા. ઇન્દિરા વસાહત હુડકો કઠવાડા ખાતે જોગણી માતાજીના મંદિરે હવન અને રાત્રે ગરબાનું આયોજન કરાયું હતું.
ઓઢવ રણછોડરાયજી મંદિર ખાતે અન્નકુટ ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી દર્શન માટે આવ્યા હતા. રામોલમાં બાપા સિતારામ શ્રી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આજે પંદર દિવસના દિવાળીના મહાપર્વની પૂર્ણહુતિ થઇ હતી. તમામ લોકોએ તેમના ઘરના આંગણે દિવા પ્રગટાવીને દિવ દિવાળી મનાવી હતી.
ગુરૂનાનક જન્મજ્યંતિ નિમિતે ઓઢવ, કુબેરનગર, બંગલા એરિયા,ઠક્કરનગર, કૃષ્ણનગર, ઇસનપુર, ખોખરા, મણિનગર, ઘોડાસર સહિતના વિવિધ ગુરૂદ્વારા, દરબારમાં ભવ્ય ઉજવણીઓ થઇ હતી. પરોઢે ભજન-કિર્તન, પ્રભાતફેરી, દિવસે લંગર, સાંજે ધાર્મિક-સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.