Gujarat

રાજ્યમાં ટેલી-આઇસીયુ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર ખાનગી ડોક્ટરોને જોડશે

By GS Team
13 Nov 20212 mins read
This article was originally published on 13 Nov 2021
રાજ્યમાં ટેલી-આઇસીયુ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર ખાનગી ડોક્ટરોને જોડશે

ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આવેલી સરકારી હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં જ્યાં આ સુવિધા નથી ત્યાં શરૂ કરવાનું આયોજન

ગાંધીનગર : ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કે જ્યાં આઇસીયુની સુવિધા નથી ત્યાં રાજ્યના આરોગ્ય વિભાગે ટેલી આઇસીયુ સુવિધા ઉભી કરવાનું આયોજન કર્યુંં છે. આ સુવિધા તબક્કાવાર શરૂ કરવામાં આવશે અને તેના માટે ખાનગી ડોક્ટરોનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલી આઇસીયુ સુવિધા એટલે કે ટેલી કોલિંગ અથવા વિડીયો કોલિંગ દ્વારા દૂરસ્થ રીતે આઇસીયુ પર દેખરેખ રાખી શકાશે. ફોન કે વિડીયો પરના ક્રિટીકલ કેર ડોક્ટર આરોગ્ય સંભાળમાં તબીબી સ્ટાફને કટોકટીના કેસની સારવારમાં માર્ગદર્શન આપી શકશે.

ગ્રામીણ તેમજ દૂરઅંતરના વિસ્તારોમાં કે જ્યાં આઇસીયુ સુવિધા નથી ત્યાં ખાનગી ડોક્ટરો દ્વારા આ સુવિધા ઉભી કરવાનું પ્રયોજન છે. આ સુવિધાનો ટેસ્ટ રન ચાલી રહ્યો છે અને તે સફળ થયા પછી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આ સુવિધા ઔપચારિક રીતે શરૂ કરશે.

આ સેવાઓ સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલોમાં શરૂ કરાશે કે જ્યાં હાલ આઇસીયુ સુવિધા ઉપલબ્ધ નથી. આરોગ્ય વિભાગે આ વર્ષે ટેન્ડર બહાર પાડયા પછી રાજ્યમાં 10 કેન્દ્રોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં અમદાવાદ સ્થિત ખાનગી એજન્સીની નોંધણી કરી છે. 

આ 10 કેન્દ્રોમાં સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં, ગીર સોમનાથના વેરાવળમાં, મહીસાગરના લુણાવાડામાં, નર્મદાના રાજપીપળામાં, પંચમહાલના ગોધરામાં, તાપીના વ્યારામાં, મહેસાણા અને બનાસકાંઠાના ડીસામાં આવેલી જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

આ 10 પૈકી સુરેન્દ્રનગર, વ્યારા અને મહેસાણામાં ટેલી આઇસીયુ સુવિધાઓ સક્રિય બનાવવામાં આવી છે જ્યારે બાકીના સાત કેન્દ્રોમાં આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરાશે. ગ્રામીણ વિસ્તારોમાં સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંતોનો અભાવ હોવાથી આ સુવિધા દર્દીઓ માટે રાહતરૂપ બનશે. ટેલી આઇસીયુ સેવાનું નિરીક્ષણ કરવા માટે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પણ સ્થાપવામાં આવી રહ્યું છે.

ટેલી આઇસીયુ સુવિધાનો ખ્યાલ કોરોના મહામારી વચ્ચે જન્મ્યો હતો. રાજ્યના ગ્રામીણ અને દૂર અંતરના વિસ્તારોમાં કોરોના દર્દીઓને કટોકટીના સમયે સારવાર નહીં મળતાં મુશ્કેલી ઉભી થઇ હતી. ક્રિટીકલ સમયે દર્દીને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરની હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા પરંતુ શહેરોમાં હોસ્પિટલો ભરચક હોવાથી તેમને સારવાર મળી શકતી ન હતી.

આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેરમાં અમદાવાદની 900 બેડની ધનવંતરી કોવિડ કેર હોસ્પિટલમાં કેટલાક દર્દીઓની સારવારમાં ટેલી મેડીસીનનો સહારો લીધો હતો. ટેલી આઇસીયુ સુવિધાના સફળ પ્રયોગ પછી આખા રાજ્યમાં આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે.