કેસ પાછો લઇ લે, નહીંતર તને જીવતો નહીં રહેવા દઉં
બે ભાઇ પર પાઇપ અને ધારિયાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી
વડોદરા,પોલીસ કેસ પરત ખેંચવાની ના પાડતા વેપારી તથા તેના ભાઇ પર ચાર હુમલાખોરોએ હુમલો કરી પાઇપ અને ધારિયા વડે માર માર્યો હતો.જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દંતેશ્વર બજરંગનગરમાં રહેતો હેમરાજસિંહ યુવરાજસિંહ માંગરોલા કન્સટ્રક્શનનું કામ કરે છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૧ લી એ રાતે દશ વાગ્યે હું મારી દીકરીને લઇને ઘરની બહાર ચાલતો હતો.તે દરમિયાન મારા મિત્ર યુવરાજસિંહ ચાવડાએ આવીને મને કહ્યું હતું કે,બજરંગનગર પાસે આવેલી ગલીમાં તારા ભાઇ ધર્મેન્દ્રને કોઇ મારે છે.જેથી,હું તરત ત્યાં ગયો હતો.તે સમયે દુર્ગેશ દિપકભાઇ દેશમુખ તથા તેનો ભાઇ કૃપાલ મારા ભાઇને કહેતા હતા કે,તારા પિતાએ અમારી વિરૃદ્ધ કેસ કેમ કર્યો છે ?આ કેસ પાછો લઇ લે.જો તું કેસ પરત નહીં લે તો તને હું જીવતો રહેવા દઉં નહીં.તેઓ ગાળો બોલી મારા ભાઇને મારતા હતા.દુર્ગેશનો મિત્ર વિજય રાઠોડ અને ચિરાગ જગતાપે મારા ભાઇને નીચે પાડી દઇ માર માર્યો હતો.મારા ભાઇએ કેસ પરત લેવાની ના પાડી દીધી હતી.દુર્ગેશે ઉશ્કેરાઇને પાઇપ વડે મારા ભાઇને માથા , પીઠ તથા પેટના ભાગે માર માર્યો હતો.દરમિયાન બૂમાબૂમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.કૃપાલે ધારિયાથી મારા ભાઇ પર હુમલો કરી પગના ભાગે ઇજા પહોંચાડી હતી.હું છોડાવવા વચ્ચે પડયો તો મને પણ માર માર્યો હતો.ત્યારબાદ ચારેય હુમલાખોરો ભાગી ગયા હતા.અને એવી ધમકી આપતા ગયા હતા કે,આજે તો તું બચી ગયો છે.બીજીવાર તને જીવતો રહેવા દઉં નહીં.