115 રાજપુતાણીઓ તલવારબાજી કરી 30 હજાર રાજપૂત શહીદોને શ્રધ્ધાંજલિ આપશે
- ભુચરમોરી ખાતે જામનગરના રાજા જામ સતાજી અને અકબર વચ્ચે ઘમાસાણ યુધ્ધ થયેલું
વડોદરા, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભુચરમોરી ખાતે રાજા જામ સતાજી અને અકબર વચ્ચે થયેલા ઘમાસાણ યુધ્ધમાં ૩૦ હજાર જેટલા રાજપૂતો શહીદ થયા હતા. તેમને છેલ્લા ૨૮ વર્ષથી શ્રધ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આ વર્ષે ગુજરાતભરની ૨૦૦૦ રાજપુતાણીઓ તલવારબાજી કરી શહીદોને શ્રધ્ધાંજલિ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ માટે શહેરમાંથી ૧૮થી ૫૦ વર્ષની ઉંમરની ૧૧૫ રાજપુત દીકરીઓ ભાગ લેશે.
રાજપૂત દીકરીઓને તલવારબાજી શીખવાડનાર જિતેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, ભુચરમોરી ખાતે થયેલું યુધ્ધ પાણીપતની લડાઈ પછીનું બીજું સૌથી મોટુ યુધ્ધ માનવામાં આવે છે. અમદાવાદનો સુબો મુઝ્ઝફર બાદશાહને અકબર બંદિ બનાવી અમદાવાદ કબજે કરવા માંગતો હતો ત્યારે બાદશાહ ભાગી રાજા જામ સતાજી પાસે આવે છે. અકબર સૂબાને સોંપી દેવા કહે પરંતુ રાજા શરણે આવેલાની રક્ષા કરવાની મારી ફરજ છે તેવું કહેતા અકબર અને રાજા વચ્ચે ભુચરમોરી ખાતે આવેલા મેદાનમાં યુધ્ધ થાય છે.
અકબરનું ગુજરાતમાં આ છેલ્લું યુધ્ધ હતુ જેમાં ૩૦ હજાર સૈનિકો શહીદ થાય છે. તલવાર એ રાજપૂતોનું શૌર્યનું પ્રતિક છે. એટલા માટે તા.૨૩ ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ ભુચરમોરી ખાતે રખાયેલો છે. અગાઉ ૧૦૮૯ લોકોએ એકસાથે તલવારબાજી કરેલી તેનો રેકોર્ડ છે જેનો રેકોર્ડ આ રાજપુતાણીઓ તોડશે.