8.98 કરોડની GST ચોરી કેસમાં સ્વસ્તિક જેમ્સ એક્સપોર્ટના માલિક બ્રિજેશકુમારના જામીન નામંજૂર
સોમ એન્ટરપ્રાઇઝ અને એસ.કે.એન્ટરપ્રાઇઝ નામની બે બોગસ કંપનીઓમાં 400 કરોડોનુ ટ્રાન્ઝેક્શન કરીને ખોટી રીતે ITC મેળવી હતી
વડોદરા : કરોડો રૃપિયાની જીએસટી ચોરીના કેસમાં જીએસટી વડોદરા રિજિયોનલ યુનિટ દ્વારા ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવેલા સ્વસ્તિક જેમ્સ એક્સ્પોર્ટના માલિક બ્રિજેશકુમાર મિથિલેશકુમારની રેગ્યુલર જામીન અરજી વડોદરા કોર્ટે નામંજૂર કરી દીધી છે.
જીએસટી વડોદરા રિજિયોનલ યુનિટનો સ્વસ્તિક જેમ્સ એક્સપોર્ટના પ્રોપરાઇટર બ્રિજેશકુમાર મિથિલેશકુમાર સામે આરોપ છે કે બ્રિજેશકુમારે ફેબુ્રઆરી-૨૦૨૩થી મે-૨૦૨૩ દરમિયાન મે.સોમા એન્ટરપ્રાઇઝ અને મે.એસ.કે.એન્ટરપ્રાઇઝ નામની બે કંપનીઓમાં આશરે રૃ.૪૦૦ કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યુ હતું. આ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યુ કે સોમા એન્ટરપ્રાઇઝ અને એસ.કે. એન્ટરપ્રાઇઝ નામની કોઇ કંપની અસ્તિત્વમાં જ નથી. ફક્ત કાગળ ઉપર કંપનીઓ ઉભી કરીને તેમાં કરોડો રૃપિયાના ટ્રાન્ઝેક્શન કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) મેળવવામાં આવી હતી. આ રીતે ફેબુ્રઆરી થી મે ૨૦૨૩ના ચાર મહિનાના ગાળામાં રૃ.૮.૯૮ કરોડની જીએસટી ચોરી કરી હોવાનું બહાર આવ્યુ છે.
જો કે આ કેસમાં આરોપી બ્રિજેશકુમારના વકીલે દલીલ કરી હતી કે બ્રિજેશકુમાર તો છેલ્લા આઠ-દસ વર્ષથી જયપુરમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી કરે છે તેની પોતાની કોઇ કંપની નથી. આ કેસમાં બ્રિજેશકુમારને ફસાવી દેવામાં આવ્યો છે. જો કે સરકારી વકીલ અનિલ દેસાઇએ વળતી દલીલ કરી હતી કે બ્રિજેશકુમાર આ કેસનો મુખ્ય આરોપી છે આ ઉપરાંત અમીત, હેમંત, પિન્ટુ નામના અન્ય ૩ આરોપીઓની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ બોગસ કંપનીઓનું આખુ માળખુ ઉભુ કર્યુ હોવાની પુરી શંકા છે માટે જો મુખ્ય આરોપીને જામીન આપવામાં આવે તો કેસ ઉપર અસર થઇ શકે તેમ છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન જ્જ પ્રિયંકા અગ્રવાલે આરોપી બ્રિજેશકુમારના રેગ્યુરલ જામીન નામંજૂર કર્યા છે.