Gujarat

શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશપ્રવાસે જનારા સૌપ્રથ સંત હતા

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી  સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશપ્રવાસે  જનારા સૌપ્રથ સંત હતા



અમદાવાદ,શનિવાર

શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ, મણિનગરના મહંત-સાધુતાની મૂર્તિ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૧૦૧ વર્ષની ઉંમરે શનિવારે બપોરે બે કલાકે મૂર્તિના સુખે સુખિયાં થયા છે. તેમના અંતિમ દર્શન સવારે ૮ઃ૩૦થી ૧૦ કુમકુમ મંદિરમાં જ્યારે અંતિમ સંસ્કાર વિધિ કુમકુમ સેવા કેન્દ્ર-હીરાપુર ખાતે છે.

શાસ્ત્રી આનંદપ્રિયદાસજીએ મનુષ્ય લીલા સંકેલી લેતાં ભક્તો શોકમાં ગરકાવ થયા છે. કુમકુમ મંદિરમાં આવતીકાલે સવારે ૭થી ૮ઃ૩૦ દરમિયાન પૂજન-અર્ચન-અભિષેક વિધિ કરાશે.  સવારે ૮ઃ૩૦થી ૧૦ ભક્તો અંતિમ દર્શન કરી શકશે. સવારે ૧૦ થી બપોરે ૧૨ દરમિયાન કુમકુમ મંદિરથી હીરાપુર સેવા કેન્દ્ર સુધી પાલખીયાત્રા યોજાશે. બપોરે ૧૨થી ૨ દરમિયાન કુમકુમ સેવા કેન્દ્ર ખાતે દર્શન કરી શકાશે. બપોરે બે કલાકે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. શાસ્ત્રી આનંદપ્રિયદાસજીનો જન્મ ઈ.સ. ૧૯૨૧માં કચ્છના ભારાસર ખાતે થયો હતો. ૮૦ વર્ષ અગાઉ ફાગણ સુદ ત્રીજ વિક્રમ સંવત ૧૯૯૮ના મુક્તજીવન સ્વામીબાપાએ તેમને દીક્ષા આપી હતી.

૧૯૪૮માં તેમણે આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. આ સાથે જ વિદેશ પ્રવાસે જનારા તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌપ્રથમ સંત બન્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે, 'અબજીબાપાના સિદ્ધાંતોના પ્રવર્તન માટે મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને તેમણે મણિનગરમાં ૭૫ વર્ષ પહેલાં મંદિરના પાયા નાખ્યા હતા. અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા. શાસ્ત્રો અને અનેક સાધનામાં ભૂલા પડેલા માનવીઓને સાચા માર્ગો ચીંધીને આંત્યતિક મોક્ષની વાટ બતાવી હતી. સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ તેમણે પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. '