વડોદરાઃ યુક્રેનની રાજધાની કીવ હવે રશિયા અને યુક્રેન વચ્ચેના જંગનુ કેન્દ્ર બની ગઈ છે.કીવમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે વડોદરાના ચાર વિદ્યાર્થીઓ કીવ છોડવામાં સફળ થયા છે.આ પહેલા છેલ્લા બે દિવસથી તેઓ કીવના અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં બનાવાયેલા શેલ્ટરમાં આશ્રય લઈ રહ્યા હતા.
આ ચાર પૈકી એક વિદ્યાર્થી કુશલ પટેલ શહેરના રાજમહેલ રોડ પર આવેલા તાડફળિયામાં રહે છે.તેના પિતરાઈ ચિરાગભાઈ પટેલે કહ્યુ હતુ કે, કુશલ કીવમાં જ રહેતો હતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.તેની સાથેના બીજા વિદ્યાર્થીઓ પણ વડોદરાના જ છે.છેલ્લા બે દિવસથી તેઓ રશિયાના બોમ્બમારાના કારણે ખપ પુરતો નાસ્તો લઈને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર પહોંચી ગયા હતા અને ત્યાં જ રહેતા હતા.ગઈકાલે રાત્રે તેમને કીવમાંથી કોઈ પણ સંજોગોમાં નીકળવુ હતુ .જોકે મારી ફોન પર વાત થઈ ત્યારે મેં તેમને દિવસના સમયે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરવા સલાહ આપી હતી.
ચિરાગભાઈનુ કહેવુ છે કે, રશિયાની આર્મી કીવમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહી છે અને યુધ્ધ કીવ સુધી પહોંચી ચુકયુ છે ત્યારે સતત બોમ્બ ધડાકાના અવાજો સાંભળીને આ વિદ્યાર્થીઓ ગભરાઈ પણ ગયા હતા અને ટેન્શનમાં આવી ગયા હતા.આજે સદનસીબે દિવસના સમયે તેમને એક પ્રાઈવેટ ટેક્સી મળી ગઈ હતી.તેઓ આજે મધરાત બાદ પોલેન્ડની બોર્ડર પહોંચશે.મારી ભત્રીજી જ્ઞાાનીશા પટેલ પણ કીવમાં જ રહીને મેડિકલનો અભ્યાસ કરતી હતી.તે એક દિવસ પહેલા સહીસલામત કીવથી રવાના થઈ ગઈ છે અને હાલમાં પોલેન્ડ બોર્ડર ક્રોસ કરીને ત્યાંથી ભારત પાછા ફરવા માટે સરકારની મદદની રાહ જોઈ રહી છે.


