અમદાવાદ-ઇન્દોર હાઇવે પરની સ્ટ્રીટલાઇટો બંધ
- છેલ્લા ચારેક માસથી બંધ હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે
અમદાવાદ,તા.25 ઓક્ટોબર 2020, રવિવાર
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પરની સ્ટ્રીટલાઇટો છેલ્લા ચારેક માસથી બંધ હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જીવના જોખમે મુસાફરી કરવાની નોબત આવી પડી છે.
અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ પર ઓઢવ સર્કલથી શરૂ થતા ઇન્દોર એક્સપ્રેસ હાઇવે પર ઓઢવથી છેક કણભા ગામ સુધીની સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં પડી છે. જેની આજદીન સુધી કોઇ દરકાર રખાઇ નથી.
વળી ઓઢવથી ૧ કિ.મી.સુધીનો રોડ નવો બનતો હોવાથી આ રોડ પર પણ સ્ટ્રીટલાઇટો બંધ પડી છે. હજારો વાહનોની અવર-જવર વચ્ચે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ પ્રદુષિત બની જતા આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં ધૂળ જામ જાય છે. જેથી લોકો પણ હેરાન-પરેશાન થઇ રહ્યા છે.
ધૂળની નાની રજકણો સતત ઉડતી હોવાથી ત્યાંથી પસાર થતા ટુ-વ્હિલર ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર પાણીનો છંટકાવ કરવાની પણ માંગણી ઉઠવા પામી છે.