કોરોના મટયા બાદ આંતરડામાં સોજો-અલ્સર, પેટના રોગો વધ્યા
કોરોનાની સારવારમાં સ્ટીરોઇડ મુખ્ય જવાબદાર પરિબળ
કોરોનાના સાજા થયેલા 20 ટકા દર્દીઓમાં એસીડીટી-પેટની સમસ્યા, આંતરડા અને જઠરનાં ઓપરેશનની સંખ્યા ય વધી
અમદાવાદ : કોરોનાના સાજા થયેલાં દર્દીઓ હવે પેટના રોગનો ભોગ બની રહ્યાંછે. કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ દવાઓને કારણે પેટની સમસ્યા વધી છે. તબીબોના મતે, કોરોનાને માત આપનારાં 20 ટકા દર્દીઓમાં એસીડીટી,આંતરડામાં અલ્સર ઉપરાત જઠરમાં સોજો સહિત પેટનો રોગો વધ્યાં છે.
એટલું જ નહીં, આંતરડા અને જઠરના ઓપરેશનની સંખ્યા ય વધી છે. ગુજરાતમાં બીજી લહેરમાં હજારો લોકો કોરોનાથી સંક્રમિત થયા હતાં. જોકે, હવે કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યાં છે પણ કોરોનામાંથી મુક્તિ મેળવ્યા બાદ પણ દર્દીઓને રાહત થઇ નથી બલ્કે પેટના રોગોની સમસ્યા વધી છે.
ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો.શ્રવણ બહોરાના મતે, કોરોના થયા બાદ ભૂખ ન લાગવી, પેટ ફુલી જવુ,ઝાડા ઉલટી થવા , વજનમાં ઘટાડો થવો, આંતરડામાં સોજો આવવો તેવી ફરિયાદો જોવા મળી રહી છે.
કોરોનાની સારવાર વખતે સ્ટીરોઇડ દવાનો ઉપયોગ કરવામાં આવતાં આવી સમસ્યા વકરી છે. આ ઉપરાંત કોરોનાથી બચવા લોકો આડેધડ રીતે આર્યુવેદિક ઉકાળાનો ય ઉપયોગ કરે છે જેના કારણે જઠર પર અસર થાય છે.
નિયત માત્રા વધુ પ્રમાણમાં ઉકાળો લેવાથી જઠર અને આંતરડા પર સોજો આવી જાય છે. ઘણાં કિસ્સામાં તો આંતરડામાં અલ્સર પડે છે જેના કારણે લોહીની ઉલ્ટી પણ થાય છે જેથી ઓપરેશન કરવુ પડે છે.
જે વ્યક્તિને પેટનું અલ્સર હોય અને તે વધુ માત્રામાં આર્યુવેદિક ઉકાળો લે તો અલસર વધુ મોટુ થઇ શકે છ. દર્દી ઝાડામાં લોહી પડે તેવી પણ ફરિયાદ કરે છે પરિણામે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે. કોરોનાથી સાજા થયેલાં લોકોએ પેટના રોગથી બચવા માટે હલકો ખોરાક લેવો જોઇએ.
તબીબોની સલાહ છેકે, ચા-કોફીનું વધુ પડતું સેવન કરવુ જોઇએ નહી. વધુ પડતી પેઇન કિલર લેવી જોઇએ નહીં. સ્ટીરોઇડ પણ જૂજ માત્રામાં જ લેવી જોઇએ. તળેલો ખોરાક લેવો નહી. આમ, માંડ કોરોનાથી મુક્ત થયા બાદ દર્દીઓ હવે નોન કોવિડ હોસ્પિટલમાં પેટના રોગોની સારવાર લઇ રહ્યાં છે.