વીમાની વધારાની રકમ લીધા બાદ પરત ન કરતા મહિલા વિરૂદ્વ કાર્યવાહી
પતિના મૃત્યુ બાદ વીમાના નાણાં લેવાનો મામલો
પતિના મોત બાદ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શીયલ વીમા કંપની સાથે છેતરપિંડી કરી કરીઃ સોલા હાઇકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી
Updated: Sep 26th, 2023
અમદાવાદ,
મંગળવાર
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું અવસાન થતા તેણે વીમા કંપનીમાં વળતર માટે દાવો કર્યો હતો. પરંતુ, વીમા કંપનીએ વળતર ચુકવવાના મામલે વાંધા કાઢ્યા હતા. જેથી મહિલાએ રાજ્યગ્રાહક નિવારણમાં ફરિયાદ કરતા વીમા કેપનીને નાણાં વ્યાજ સાથે ચુકવવાનો આદેશ થયો હતો. જે રકમ ઉપરાંત, મહિલાએ વધારાની પાંચ લાખની રકમ પણ લીધી હતી. જે પરત નહી કરીને છેતરપિંડી કરી હતી. જે અંગે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂદ્વ ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરમાં રહેતા પ્રકાશભાઇ ચૌહાણ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદની કચેરીમાં હિસાબનીશ અધિકારી તરીકે ફરજ બજાવે છે.તેમની કચેરીમાં ચેતનાબેન ભાલારા (રહે.કોઠારિયા કોલોની, ભક્તિનગર સર્કલ,રાજકોટ) દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્સીયલ જીવન વીમા કંપની સામે દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પતિએ પાંચ લાખનો જીવન વીમો લીધો હતો અને તેમના મૃત્યુ બાદ વીમાં કંપનીએ આ રકમની ચુકવણીને લઇને વાંધા કાઢ્યા હતા. જેથી ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ચુકાદા આપવામાં આવ્યો હતો કે જુન ૨૦૧૧થી આઠ ટકાના ચઢતા વ્યાજે પાંચ લાખની ચુકવણી કરવાની રહેશે અને જો આ રકમ ચુકવવામાં વીમાં કંપની નિષ્ફળ રહેશે તો કુલ રકમ પર નવ ટકા વ્યાજ પણ ચુકવવુ પડશે. જો કે વીમા કંપનીએ પાંચ લાખ ચુકવી આપ્યા હતા અને દિલ્હી ખાતે આ હુકમને પડકાર્યો હતો. જેમાં સાડા પાંચ લાખની રકમ ચુકવવાનું નક્કીકરાયું હતું. જે ચેતનાબેનને ચુકવી આપવામાં આવ્યા હતા અને અમદાવાદમાં રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં જમા કરવામાં આવેલા પાંચ લાખ રૂપિયા ચેતનાબેનને અપાઇ ચુક્યા હતા. જે રકમ વ્યાજ સાથે પરત મેળવવા માટે વીમા કંપનીએ દાવો કર્યો અને ચેતનાબેનને વ્યાજ સાથે કુલ ૭.૧૯ હજારની રકમ વીમા કંપનીને ચુકવવા માટે જણાવાયુ હતું. પરંતુ, ચેતનાબેને માત્ર ૧.૧૦ લાખ રૂપિયાની રકમ જ જમા કરાવી હતી અને બાકીની છ લાખની રકમ ચુકવી નહોતી. છેવટે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે તેમના વિરૂદ્વ છેતરપિંડીનો ગુનો નોધવામાં આવ્યો હતોે.