જિલ્લામાં સાત હજાર લોકોને હોમ કવોરેન્ટાઈનમાં રાખવાની ફરજ પડી
- કોરોનાના કેસનો રાફડો ફાટયો છે ત્યારે
- કલોલમાં સૌથી વધારે 3499 અને ગાંધીનગર તાલુકામાં 1904 લોકોનો સમાવેશઃકુલ 7155 લોકો કવોરેન્ટાઈનમાં
ગાંધીનગર,03 જુન 2020 બુધવાર
ગાંધીનગર જિલ્લામાં અનલોક-1 ભારે પડી રહયું હોય તેમ લાગી રહયું છે કેમકે જિલ્લામાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહયા છે. જે સ્થિતિના કારણે હાલ ગાંધીનગર જિલ્લામાં 7155 લોકોને અલગ અલગ કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે જેમાં 6955 લોકો હોમ કવોરેન્ટાઈનમાં છે જયારે સરકારી ફેસેલીટી કવોરેન્ટાઈનમાં ફકત પ7 લોકોને રાખવામાં આવ્યા છે. જયારે 103 લોકો પ્રાઈવેટ ફેસેલીટી સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જેમજેમ કેસ વધશે તેમતેમ કવોરેન્ટાઈનની સંખ્યા પણ સતત વધતી રહેશે.
કોરોના વાઈરસનું સંક્રમણ અટકવાનું નામ લઈ રહયું નથી. વેપારધંધા ખોલવા માટે સરકારે છુટ આપીદીધી છે અને લોકોએ સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન નહીં કરતાં ગાંધીનગર જિલ્લામાં ધીરેધીરે સ્થિતિ વણસી રહી હોય તેમ લાગી રહયું છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાએ ડબલ સેન્ચ્યુરી ફટકારી દીધી છે ત્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો ઉપર પણ પુરતું ધ્યાન આપવામાં આવી રહયું છે જેમને આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક કવોરેન્ટાઈન કરી દેવામાં આવે છે જેથી તે વ્યક્તિઓ પણ અન્ય કોઈના સંપર્કમાં આવીને આ વાઈરસને વધુ પ્રસરતો અટકાવે. હાલની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં 7155 લોકો વિવિધ કવોરેન્ટાઈન હેઠળ છે જેમાં ગાંધીનગર તાલુકાના 1904 હોમ કવોરેન્ટાઈન, ર9 વ્યક્તિઓ ફેસેલીટી કવોરેન્ટાઈનમાં છે. જયારે દહેગામમાં 724 હોમ અને આઠ સરકારી કવોરેન્ટાઈનમાં તો માણસામાં 868 લોકો હોમ અને ર0 ફેસેલીટી કવોરેન્ટાઈનમાં છે. જિલ્લામાં સૌથી વધારે કલોલ તાલુકામાં 3499 લોકોને હોમ કવોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તો 103 લોકો પ્રાઈવેટ ફેસેલીટીમાં કવોરેન્ટાઈન થયા છે. જે પ્રકારે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહયું છે તે જોતાં હવે કોરોના સંક્રમિત લોકોને સરકારી ફેસેલીટી સેન્ટરમાં લઈ જવા કરતાં તેમને ઘરે જ કવોરેન્ટાઈન કરી દેવાનું તંત્ર મુનાસીફ માની રહયું છે.