Get The App

સ્વામિનારાયણ સંપ્રદાય સામે દેશભરમાં ઉગ્ર આંદોલન માટે સનાતન સંત સમિતિનું એલાન

જેતપુર મંદિરમાં ગણેશજી અને શિવજીની પૂજા બંધ કરાયા બાદ ચાલુ કરાવી હવે રાજકોટના આચાર્ય દિનેશપ્રસાદના નિવેદનથી ભડકો

Updated: Sep 10th, 2023

GS TEAM


Google News
Google News
સ્વામિનારાયણ સંપ્રદાય સામે દેશભરમાં ઉગ્ર આંદોલન માટે સનાતન સંત સમિતિનું એલાન 1 - image


વડોદરા : સનાતન હિન્દુ ધર્મના મૂળ આધારભૂત ભગવાનોના સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફાંટાઓ દ્વારા સતત થઈ રહેલા અપમાન સામે સનાતન સંત સમિતિ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. સાળંગપુર વિવાદ બાદ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા બે ભીંતચિત્રો હટાવી લેવાયા છે અને સમાધાન થયું હોવાની વાત સામે આવી હતી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હજુ પણ સનાતન ધર્મ વિરોધી નિવેદનો આવતા હોવાથી અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આગામી લડત માટે નવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

ચાર દિવસ પહેલા રાજકોટ પાસે આવેલા જેતપુરના સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર પરિસરમાં આવેલા ભગવાન શ્રી ગણેશજી અને શંકર ભગવાનના મંદિરમાં સેવા પૂજા બંધ કરી દેવામાં આવતા મંદિર સાથે ત્રણ પેઢીથી સંકળાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના જ હરિભક્ત વલ્લભભાઇ આંબલિયાએ શિક્ષાપત્રીમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને શિવજી અને ગણેશજીની પૂજા-ભક્તિ કરવાનું કહ્યું છે તેવો સંદર્ભ આપીને ભારે વિરોધ કર્યો હતો, જે બાદ જેતપુર પંથકમાં પણ ભારે વિરોધ ઊભો થતાં ફરીથી ગણેશજી અને શિવજીની પૂજા મંદિર દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે. હજુ જેતપુરનો વિવાદ ઉકળી રહ્યો છે એ દરમિયાન જ રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના કથિત આચાર્ય દિનેશ પ્રસાદે એમ કહીને વિવાદમાં ભડકો કર્યો છે કે હિન્દુ સનાનત સિવાય તમામ ધર્મોના ભક્તો એક થાય. આપણે હિન્દુ દેવી-દેવતાઓને કાઢવાના છે.

આ વિવાદ અંગે વાત કરતા સનાતન સંત સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ વડોદરાના ડો.જ્યોતિર્નાથજીએ કહ્યું હતું કે 'હવે ગુજરાત જ નહી, દેશભરમાં અખાડાઓ, સંતો-મહંતો, મઠાધિપતિઓ, સાધુઓ આક્રમક મૂડમાં આંદોલન શરૃ કરશે. આજે જ સમિતિ દ્વારા નક્કી કરાયું છે કે કોઇ હરિભક્ત કે સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સાધુઓ જ્યારે 'જય સ્વામિનારાયણ' કહીને સંબોધન કરે ત્યારે તેની સામે સનાતન હિન્દુઓએ પોતાના ઇષ્ટ દેવને યાદ કરીને 'જય માતાજી', 'જય મહાદેવ', 'જય રણછોડ', 'જય શ્રી કૃષ્ણ' કે 'જય પરશુરામ' કહેવું. આ ઉપરાંત હવે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ધાર્મિક પુસ્તકોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ખામીઓ જણાશે તો કોર્ટમાં પડકારવામાં આવશે. તેઓ સમાધાનમાં માનતા નથી અને હવે તો હિન્દુ દેવી-દેવતાઓને કાઢવાના છે એવા નિવેદનો આવવા લાગ્યા છે. આવા કૃત્યને સહન કરવામાં નહી આવે.'

Tags :