આજે સંવત્સરી : શ્રાવકો ઘરેથી જ સંવત્સરી પ્રતિક્રમણ કરશે
- જૈનો 'મિચ્છામી દુક્કમ્'પાઠવશે
- ઉપાશ્રયોમાં બારસા સૂત્રનું વાંચન કરવામાં આવશે : રવિવારે તપસ્વીઓના પારણા
અમદાવાદ,શુક્રવાર
પર્વાધિરાજ પર્યુષણનો
અંતિમ દિવસ એટલે કે સંવત્સરી આવતીકાલ-શનિવારે છે. સંવત્સરી નિમિત્તે આવતીકાલે બારસા
સૂત્રનું વાંચન કરવામાં આવશે. જોકે, કોરોનાને પગલે પ્રવર્તમાન સંજોગોમાં આ વખતે શ્રાવકોને
ઘરેથી જ સંવત્સરી પ્રતિક્રમણ કરવું પડશે. કોઇ પણ સંઘે ઓનલાઇન સંવત્સરી પ્રતિક્રમણ નહીં
કરવાનો અમદાવાદ જૈન મહાસંઘ દ્વારા અનુરોધ કરાયો છે
'ક્ષમા વીરસ્ય
ભૂષણમ્' એટલે કે જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી
પણ નિર્બળતાની નિશાની છે. મહાવીર સ્વામી સ્વંય ક્ષમાના સાગર હતા. તેમના ઉપર અનેક વિધ્નો
ઉપસર્ગો આવ્યા હોવા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવ જ રહેતા હતા. સંવત્સરી
દરમિયાન આરાધકો લગભગ ૩ કલાકનું પ્રતિક્રમણ કરે છે, જેમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં
આવે છે. જોકે, આ વખતે ઉપાશ્રયોમાં સંવત્સરીનું પ્રતિક્રમણ નહીં કરવામાં આવે. શ્રાવકો
ઘરે બેઠા અથવા તો ૧૦-૧૫ લોકો જૂથ બનાવીને સંવત્સરી પ્રતિક્રમણ કરશે.
જૈન પાઠશાળાના
બાળકો આવતીકાલે ઘરે જઇને સંવત્સરી પ્રતિક્રમણ ભણાવે તેવી પણ કેટલાક સંઘો દ્વારા વ્યવસ્થા
કરવામાં આવેલી છે. સવારે બારસા સૂત્રનું વાંચન થશે. કેટલાક સંઘો દ્વારા તેનું પણ ઓનલાઇન
આયોજન કવામાં આવ્યું છે. જૈન શ્વે. મૂ.પૂ. યુવક મહાસંઘે જણાવ્યું કે, 'સરકારની ગાઇડલાઇન્સ
અનુસાર શ્રાવકો આવતીકાલે ઘરેથી જ સંવત્સરી પ્રતિક્રમણ કરે તેવો અનુરોધ છે. સંવત્સરી
પ્રતિક્રમણ બાદ ટેલિફોનિક જ ક્ષમાપના પાઠવવામાં આવે. ' સંવત્સરીના બીજા દિવસે એટલે
કે રવિવારે તપસ્વીઓના પારણા થશે. જેમાં પણ સરકારની ગાઇડલાઇન પ્રમાણે મહત્તમ ૫૦ લોકો
જ ઉપસ્થિત રહે તેવો અમદાવાદ જૈન મહાસંઘ દ્વારા અનુરોધ કરાયો છે.