જગન્નાથ મંદિર દ્વારા રૂપિયા 51 લાખ પ્રધાન મંત્રી રાહત ફંડમાં અપાયા
- દરરોજ 800 વ્યક્તિઓને ભોજન, 1,000 લિટર છાશનું વિતરણ કરાય છે
અમદાવાદ, તા. 30 માર્ચ 2020, સોમવાર
કોરોના વાઇરસ નો ભારતમાં પગપેસારો થઈ રહ્યો છે ત્યારે તેની સામે લડવા માટે ધાર્મિક સંસ્થાઓ પણ યોગદાન આપવા સતત આગળ આવી રહી છે. જેમાં હવે અમદાવાદના જગન્નાથજી મંદિર નો પણ સમાવેશ થઈ ગયો છે. કોરોના મહામારીમાં અનુદાન તરીકે અમદાવાદનાં જગન્નાથજી મંદિર દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂ.51,00,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
આ અંગે જગન્નાથજી મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે "ભારત દેશમાં કોરોના વાયરસ મહામારીને કારણે આપણા દેશ ઉપર મોટી આફત આવી છે ત્યારે ભગવાન જગન્નાથજીના પ્રસાદરૂપે રૂ.51,00,000નો ચેક શ્રીજગન્નાથજી મંદિર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવે છે."
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, "આ વિકટ પરિસ્થિતિમાં જગન્નાથજી મંદિર દ્વારા દરરોજ 800થી વધુ વ્યક્તિઓને ભોજન પ્રસાદ, 1000 ફૂડ પેકેટ્સ કોર્પોરેશન દ્વારા વિતરણ થઈ રહ્યાં છે. આ ઉપરાંત દરરોજ 1000 લિટર છાશ, 50 લીટર દૂધ વિતરણ પણ થઈ રહ્યું છે."