Gujarat

રૂપાણી રાજ્યપાલને મળ્યા મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો

By GS Team
22 Jul 20202 mins read
This article was originally published on 22 Jul 2020
રૂપાણી રાજ્યપાલને મળ્યા મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો

અમદાવાદ, તા.22 જુલાઇ, 2020, બુધવાર

પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી.જોકે, આ મુલાકાતને પગલે મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે.

એટલું જ નહીં,પેટાચૂંટણી પહેલાં જ મંત્રીમંડળનુ વિસ્તરણ થશે તેવી રાજકીય અફવાએ જોર પકડયુ છે. તેમાં ય આજે સ્વર્ણિમ સંકુલ-2માં મંત્રીઓની નવી ઓફિસોમાં સાફસફાઇ થતાં જ મંત્રીમંડળના વિસ્તરણની અફવાને જાણે વેગ મળ્યો હતો. 

એક બાજુ, ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી છે.હજુય કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે બીજુ રાજકીય તરફ પાટનગર ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ બની હોવાની ચર્ચા છે.

આજે તો જાણે કાગનું બેસવુંને ડાળનું તુટવુ જેવો ઘાટ સર્જાયો હતો કેમકે,કેબિનેટની બેઠક પૂર્ણ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા જ રાજ્યપાલ ભવન પહોંચ્યા હતાં. જયાં તેઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી.

બીજી તરફ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચેમ્બરમાં મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , મંત્રી કુવરજી બાવળિયા વચ્ચે બેઠક થઇ હતી. આ બધીય કવાયતને લીધે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ જોર પક્ડયું હતું કે,નવા મંત્રી કોણ હશે અને કોનું મંત્રીપદ છિનવાશે.

દરમિયાન, ગઇકાલે મંત્રી નિવાસમાં કેટલાંક બંગલાઓની સાફસફાઇ કરવામાં આવી હતી જયારે આજે સ્વર્ણિમ સંકુલમાં પહેલા,બીજી અને ત્રીજા માળે મંત્રીઓની ઓફિસોની સાફ સફાઇ કરવામાં આવી હતી.

આમ અચાનક જ મંત્રીઓના બંગલા અને ઓફિસોની સાફસફાઇ થતાં  મંત્રીમંડળના વિસ્તરણની અફવાને વધુ વેગ મળ્યો હતો.પાટનગર ગાંધીનગરમાં જાણે રાજકીય માહોલ ગરમાયો હતો.  વાસ્તવમાં ગૌ પ્રેમી રાજ્યપાલને ગુજરાતમાં એકવર્ષ પુર્ણ થતાં રૂપાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી જયારે ગ્રાન્ટની વહેચણીના  મુદ્દે નાયબ મુખ્યમંત્રીની ચેમ્બરમાં બેઠક થઇ હોવાનું જાણવા મળ્યું છે.

મંત્રીપદ કોને મળી શકે છે

પ્રદિપસિંહ જાડેજા ( કેબિનેટ મંત્રી ) 

જીતુ વાઘાણી

પંકજ દેસાઇ

આત્મારામ પરમાર

બ્રિજેશ મેરઝા

રાજેન્દ્ર ત્રિવેદી

રૂપાણીના મંત્રી મંડળમાંથી કોનું પત્તુ કપાશે

આર.સી.ફળદુ

ઇશ્વર પરમાર

વિભાદરી દવે 

કુમાર કાનાણી

વાસણ આહિર