Get The App

હાટકેશ્વર અને અમરાઇવાડીમાં ગટરના પાણી ઉભરાતા હાલાકી

- પૂર્વમાં અનેક વિસ્તારો નર્કાગારમાં ફેરવાયા

- ધીરજ હાઉસિંગ ના બે બ્લોક અને ત્રિવેણીની ચાલીના 56 મકાનોમાં ગટરના પાણી બેક મારે છે

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
હાટકેશ્વર અને અમરાઇવાડીમાં ગટરના પાણી ઉભરાતા હાલાકી 1 - image

અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર

હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડમાં ધીરજ હાઉસિંગમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. અમરાઇવાડી વોર્ડમાં પણ ત્રિવેણીના ચાલીમાં ૫૬ ઘરોમાં ગટરના પાણી બેક મારતા લોકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. મ્યુનિ.તંત્ર તમાશો જોઇ રહ્યું છે.

હાટકેશ્વરમાં ધીરજ હાઉસિંગ હરિપુરાના બ્લોક નંબર ૮૮ અને ૮૯ માં  સેવન્થ ડે  શાળાની પાછળના ભાગમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. અસહ્ય દુર્ગંધ, રોડ પર જ ગંદકી અને કાદવ-કિચડ થતા રહીશોને અવર-જવરમાં પણ તકલીફ પડી રહી છે. મ્યુનિ.સબ ઝોનલ કચેરીમાં જાણ કરી હોવા છતાંય કોઇ મરામત માટે આવ્યું ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે.

બીજી તરફ અમરાઇવાડી વોર્ડમાં ત્રિવેણીની ચાલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકોના ઘરોમાં ગંદા પાણી ફરી વળ્યા છે. ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા હોવાથી ટોઇલેટ-બાથરૂમમાં ગંદા પાણી ઉભરાઇ ગયા છે. જે  ઉભરાઇને  લોકોના ઘરના આંગણામાં ફેલાઇ જતા લોકો પારાવાર ગંદકી અને  સહન ન થાય તેવી દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.

ઘર આંગણે જ ગંદકી હોવાથી રહીશોના આરોગ્યનો પ્રશ્ન સર્જાયો છે. રહીશોના જણાવ્યા મુજબ ૫૬  જેટલા ઘરોમાં  ગટરનું પાણી બેક મારી રહ્યું છે. રજૂઆત છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા ડ્રેનેજને લગતી કોઇ કામગીરી કરાઇ નથી. લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સપડાશે તેવી ભીતિ સેવાઇ રહી છે.