રાજપુર-હીરપુર જનરલ હોસ્પિટલમાં નિવૃત કર્મીઓ પેન્શન માટે ધક્કા ખાય છે
- સરકારી કચેરીઓના ધક્કાખાઇ પરેશાન
- નિવૃતિ બાદના મળવાપાત્ર લાભો મળ્યા નથી, પેન્શન બંધાયુ ન હોવાથી હાલાકી
અમદાવાદ,તા.16 ડિસેમ્બર 2021,ગુરૂવાર
પૂર્વ અમદાવાદમાં રાજપુર-હીરપુર જનરલ હોસ્પિટલમાં સેવા નિવૃત થયેલા હેડ નર્સ સહિતના સ્ટાફને હજુ સુધી પેન્શન ન બંધાતા, મળવાપાત્ર ફંડ-ગ્રેજ્યુઇટીની રકમ ન મળતા તેઓ હેરાન થઇ રહ્યા છે. નિવૃતીને આઠેક માસ જેટલો લાંબો સમય થયો હોવા છતાંય નિવૃતી બાદના લાભ ન મળતા આ લોકો આર્થિક તંગી વેઠી રહ્યા છે અને સરકારી કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે.
રાજ્ય કામદાર વીમા યોજનાના રાજપુર-હીરપુર ખાતે આવેલા દવાખાનામાંથી ગત તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ સીતાબેન અંબાલાલ ચૌહાણ હેડ નર્સ તરીકે નિવૃત થયા હતા. નિવૃતિના ચારેક માસ પુરા થવા આવ્યા હોવા છતાંય તેઓને મળવાપાત્ર રકમ હજુ મળી નથી કે પછી પેન્શન પણ બંધાયું નથી. આ સ્થિતિમાં તેઓ સરકારી કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે.
સીતાબેનના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પંદરેક દિવસમાં બધા નાણા મળી જતા હોય છે. પેન્શન બંધાઇ જતું હોય છે પરંતુ આ હોસ્પિટલમાં કામ કરતા ૮ જેટલા નિવૃત કર્મચારીઓને હજુ સુધી મળવાપાત્ર લાભો મળ્યા નથી. નિવૃતિની વયે આર્થિક સંકળામણ વેઠતા આ કર્મચારીઓ સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.
મકાન હાઉસિંગ લોનના દંડકિય વ્યાજની રકમ ભરવાની બાકી હોય તેવા કિસ્સામાં નિવૃત કર્મચારીને મળવાપાત્ર રકમમાંથી તે રકમ કાપીને એનઓસી આપી દેવાની માંગણી કરાઇ છે. પરંતુ તેના પર પણ કોઇ ધ્યાન અપાઇ રહ્યું નથી. જીવનભર હોસ્પિટલમાં સેવા કરી અને નિવૃતિના સમયે આ કર્મચારીઓને ધક્કા ખવડાવવામાં આવે તે માનવતાની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનું આ કર્મચારીઓ જણાવી રહ્યા છે.
તેઓને મળવાપાત્ર રકમ જલદી મળી જાય અને પેન્શન બંધાઇ જાય તેવી માંગણી કરવામાં આવી છે.