Get The App

ગુજરાત સરકાર ઘઉંની ખરીદી કરવા માગતી હોય તો રજિસ્ટ્રેશન ચાલુ કરે

- સરકાર ઘઉં ખરીદવા માગે છે કે નહિ તેની ખેડૂતોને જાણ કરો

- ઘઉંના બમ્પર ક્રોપના વર્ષમાં ખેડૂતોને તેમના માલની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે કે નહિ તેની જ ખબર નથી

Updated: Feb 8th, 2021

GS TEAM


Google News
Google News
ગુજરાત સરકાર ઘઉંની ખરીદી કરવા માગતી હોય તો રજિસ્ટ્રેશન ચાલુ કરે 1 - image


(પ્રતિનિધિ તરફથી) તા. 8 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

ગુજરાત સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માગે છે કે કેમ તે અંગે ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવાની માગણી કરી છે. સરકારે આજ સુધીમાં માત્ર ચણા, રાયડો અને તુવેરની ખરીદી માટે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ કરી છે.

પરંતુ હોળીના અરસામાં આવનારા ઘઉંના પાક માટે રજિસ્ટ્રેશન માટેની જાહેરાત સુદ્ધાં કરી નથી. પરિણામે ખેડૂતો અવઢવમાં છે. તેમણે ઓપન માર્કેટમાં તેમનો માલ નીચા ભાવે વેચવો કે પછી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવે ઘઉં વેચવા પડશે તે સમજીને પછી નિર્ણય લેવાની ખબર પડે તે માટે પણ તેની જાહેરાત અત્યારથી જ થઈ જવી જરૂરી છે. 

ખેડૂત નેતાઓનું કહેવું છ ેકે આ વરસે ગુજરાતમાં વાવેતર ખાસ્સું વધારે થયું છે. દર વર્ષની તુલનાએ આ વર્ષે 130 ટકા વાવેતર થયું છે. તેમાંથી 30 ટકા પાક ઘઉંનો છે. આમ કુલ વાવેતરમાં 13 લાખ હેક્ટરનું વાવેતર ઘઉંનું જ છે.

તેથી મોસમમાં ખાસ કોઈ બદલાવ ન આવે તો આ વરસે બમ્પર ક્રોપ આવવાની સંભાવના રેહેલી છે. આ સંજોગોમાં સરકારના વલણ અંગે ખેડૂતોને જાણકારી હોવી જરૂરી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પ્રમાણે ઘઉંના રૂા. 19.75ના કિલોદીઠ અને 100 કિલોએ એટલે કે એક ક્વિન્ટલદીઠ રૂા. 1975ના ભાવ નક્કી કરવામાં આવેલા છે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે છેલ્લી ઘડી સુધી રજિસ્ટ્રેશન નહિ કરવામાં આવે તો ઘઉંની ખરીદી ટાણે અંધાધૂંધી સર્જાવાની શક્યતા છે. સરકાર તેની ખરીદી નહિ કરે તો ખાનગી લેવાલો પાસે ખેડૂતોને અપેક્ષા પ્રમાણે ભાવ ન મળે તેવી પણ દહેશત પણ ખેડૂતો અનુભવી રહ્યા છે.

તેથી જ રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવે કે તેને માટેની જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતોની અપેક્ષા છે. ગુજરાત સરકારની એજન્સી ઘઉંની ખરીદી ન કરે તો તેવા સંજોગોમાં ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ખરીદી કરાવવી પડશે. 

ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા પુલમાં તેની ખરીદી કરતી હોવાતી તેમાં રેલવે ભાાડાંનો, ડેમરેજનો વધારાનો બોજ ખેડૂતોને માથે આવી જાય તેવી સંભાવના રહેલી છે. આ જ ગાળામાં માવઠું પડી જાય તો તેમના ઘઉંને નુકસાન થવાની પણ ભીતિ રહેલી જ છે.

આ સંજોગોમાં સરકાર તરફથી ઘઉંની ખરીદી ન કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તેમનો માલ મુંબઈ, અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ તેમનો માલ અમદાવાદ વેચવા માટે મોકલવો પડી શકે છે.

બીજીતરફ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીન કામકાજમાં સરકાર વ્યસ્ત થઈ ગઈ હોવાથી ખેડૂતોએ તેમના ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે કે કેમ તે અંગે અવઢવમાં રહેવું પડશે. આ અનિશ્ચિતતા વહેલી દૂર કરવામાં આવે તો ખેડૂતો તેમના આયોજનો સમયસર કરી શકે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાને મુદ્દે સરકાર જાહેરાત કરી દે તે જરૂરી છે.

Tags :