'ઓનલાઇન એપોઇમેન્ટ' દ્વારા હવે રેશનકાર્ડની કામગીરી થશે
- અમદાવાદમાં તા. 17 ઓગસ્ટથી અમલ શરૂ
- કોરોના સંક્રમણને જોતા નિર્ણય લેવાયો, 20 દિવસથી બંધ રેશનકાર્ડની કામગીરી સોમવારથી શરૂ થશે
અમદાવાદ, તા. 14 ઓગસ્ટ, 2020, શુક્રવાર
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને જોતા હવે તા.17 ઓગષ્ટથી રેશનકાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી 'ઓનલાઇન એપોઇમેન્ટ' થકી જ કરવાનું આયોજન શહેર પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયું છે. જે માટે WWW.DIGITALGUJARAT.GOV.IN ઉપર જઇને રજિસ્ટ્રેશન કરાવીને કાર્ડધારકે ઓનલાઇન એપોઇમેન્ટ લેવાની રહેશે.
અમદાવાદ શહેરના નાયબ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણને લઇને જન આરોગ્ય જળવાઇ રહે તે માટે રેશનકાર્ડને લગતી તમામ કામગીરી ઓનલાઇન એપોઇમેન્ટ થકી કરવા માટે રાજ્ય સરકારમાં પુરવઠા વિભાગમાં વિનંતી કરવામા ંઆવી હતી.
હાલની સ્થિતિને જોતા મંજૂરી મળી ગઇ છે. તેથી હવે તા.17 ઓગષ્ટને સોમવારથી શહેરની તમામ 15 ઝોનલ કચેરીઓમાં ઓનલાઇન એપોઇમેન્ટના આધારે જ કામગીરી હાથ ધરાશે. નવું બારકોડેડ રેશેનકાર્ડ, નામ ઉમેરો, નામ કમી, નામ સુધારો, જિલ્લા-ઝોન ટ્રાન્સફર, ડુપ્લીકેટ રેશનકાર્ડ, એનએફએસએ ફોર્મ જેવી તમામ કામગીરી આ પ્રક્રિયાથી થશે.
આ માટે કાર્ડધારકે વેબસાઇટમાં જઇને રજિસ્ટ્રેશન કરાવી અગાઉથી એપોઇમેન્ટ લેવાની રહેશે. ટોકનમાં દર્શાવેલ સમય અને તારીખે ઝોનલ કચેરીમાં આવવાનું રહેશે. જેથી કરીને ઝોનલ કચેરીઓમાં ભીડ ન થાય.
આ મામલે અમદાવાદ શહેરના મદદનીશ નિયંત્રક દવેના જણાવ્યા મુજબ ઝોનલ કચેરીઓમાં રોજના 500 જેટલા કાર્ડધારકો વિવિધ કામગીરી માટે આવતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય વધી જાય છે.કોરોનાનું જોખમ ટાળવા માટે કાર્ડધારકોના હિત માટે આ નવી સિસ્ટમ અમલી બનાવાઇ છે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં જ હાલમાં આ નવી 'ઓનલાઇન એપોઇમેન્ટ' ની સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. ગત જુલાઇ માસના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં રેશનકાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી બંધ છે. જે હવે પૂન: આગામી તા.17 ઓગષ્ટથી શરૂ થશે.