Gujarat

રેલવ, વીમા ને બૅન્કના કર્મચારીઓ સહિત ૧૦ કરોડ શ્રમિકો બે દિવસની હડતાલ પર

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
રેલવ, વીમા ને બૅન્કના કર્મચારીઓ સહિત ૧૦ કરોડ શ્રમિકો બે દિવસની હડતાલ પર

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

ભારત સરકારની શ્રમિક વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે આગામી ૨૮મી અને ૨૯મી માર્ચે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોન્ગ્રેસ-ઇન્ટુક રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડશે. અમદાવાદમાં ૨૮મીએ સવારે ૧૦.૩૦ કલાકે એલિસબ્રિજ પાસે વિક્ટોરિયા ગાર્ડથી રેલી કાઢવામાં આવશે અને ખાનપુરના જયપ્રકાશ ચોક સુધી આ રેલી આવશે. ગુજરાતના તમામ જિલ્લા મથકોએ પણ કામદારો સરકારની નીતિઓના વિરોધમાં અલગ અલગ કાર્યક્રમો યોજશે. ખાનગીકરણનો વિરોધ કરી રહેલા રેલવે અને બૅન્કના કર્મચારીઓ ે પણ આ હડતાલમાં જોડાશે. શનિ-રવિની રજા બાદ સોમ અને મંગળવારે પણ બેન્કો બંધ રહશે. કેન્દ્રિય કામદાર સંગઠનો, ફેડરેશનો અને એસોસિયેશનો પણ આ હડતાલમાં જોડાશે. દેશના ૧૦ કરોડ કામદારો આ હડતાલમાં જોડાશે. ગુજરાતમાં વીમા કંપનીના કર્મચારીઓ, એસ.ટી.ના કામદારો ઉપરાંત અસંગઠિત ક્ષેત્રના કામદારો પણ હડતાલમાં જોડાશે.


ઇન્ટુકના રાષ્ટ્રીય મંત્રી અશોક પંજાબીએ જણાવ્યું હતું કે બૅન્કો અને રેલવેના ખાનગીકરણના વિરોધમાં તથા કેન્દ્ર સરકારની કોર્પોરેટ તરફી અને કામદાર વિરોધી નીતિઓ સામેના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવી રહી છે. ભારત સરકારની કામદાર વિરોધી નીતિઓ સામેના વિરોધમાં આ રેલીઓ કાઢવામાં આવી રહી છે. સરકારની નીતિઓને પરિણામે આજે ભારત દેશમાં ૧૮ ટકાથી વધુ બેરોજગારી છે.સરકારની ર્નીતિઓને પરિણામે  બેરોજગારી વધશે. આ સંજોગોમાં ફિક્સ પગાર પર કર્મચારીઓને રાખતી ગુજરાત સરકાર પણ હાઈકોર્ટના ઓર્ડર પછી કાયમી ન કરીને તેમને અન્યાય કરી રહી છે. જોકે ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં જઈને સરકારે સ્ટે મેળવ્યો છે. ગુજરાતમાં અને ભારતમં શિક્ષિત અને અશિક્ષિતોની બેરોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

બૅન્કના કર્મચારીઓ પણ લોકવિરોધી આર્થિક નીતિઓ, કામદાર વિરોધી નીતિઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓ વિરોધી નીતિઓ અને મોટી કંપનીઓને ફાયદો થાય તેવી નીતિઓને અપનાવવાના કેન્દ્ર સરકારના વલણના વિરોધમાં હડતાલ પાડવાના છે. ભારત સરકારની નીતિ ખેડૂત વિરોધી પણ હોવાનો આક્ષેપ ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના સેક્રેટરી સી.એચ. વેંકટ ચલમનું કહેવું છે. સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણ કરવાને બદલે જાહેરક્ષેત્રની બૅન્કોના મજબૂતી કરણ પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બૅન્કોના ખાનગીકરણથી દેશના અર્થતંત્ર સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે. સરકારમાંના આપમુખત્યાર પરિબળો ખાનગી કંપનીઓને ટેકો આપવા માટે આ પ્રકારની નીતિઓ લાવી રહ્યા છે.