મંત્રી પુરષોત્તમ સોલંકી ફરી સક્રિય કોળી સમાજના ખભે શક્તિ પ્રદર્શન
- પાટનગરના રાજકારણમાં અચાનક આવેલો પલટો
- હીરા સોલંકીનુ રાજકીય કદ વધારવા મંત્રી સોલંકી મેદાને, પાટનગરમાં કોળીનેતાઓની બેઠકથી તર્કવિતર્ક
મંત્રીમંડળમાંથી પત્તું કપાશે તે જાણી પુરષોત્તમ સોલંકીની લાંબા સમય બાદ ગાંધીનગરમાં એન્ટ્રી
અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર, 2020, શનિવાર
છેલ્લા કેટલાંય દિવસોથી રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઇ છે જેમાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીનુ પત્તુ કપાઇ શકે છે.છેલ્લા કેટલાંય વખતથી બિમારીને કારણે મંત્રી પુરષોત્તમ સોલંકી સચિવાલયમાં જ આવતાં જ નથી. પ
ણ મંત્રીમંડળમાંથી બાદબાકી થવાની અફવાને કારણે ઘણાં લાંબા સમય બાદ પુરષોત્તમ સોલંકી ફરી સક્રિય બન્યાં છે. એટુલં જ નહીં,ગાંધીનગરમાં પુ:ન એન્ટ્રી થઇ છે. પાટનગર ગાંધીનગરમાં પુરષોતમ સોલંકીના વડપણ હેઠળ કોળી સમાજને નેતાઓની બેઠકને પગલે ફરી રાજકીય તર્કવિતર્ક વહેતાં થયા છે.
ગુજરાતમાં રૂપાણી સરકારના મંત્રીમંંડળનુ વિસ્તરણ થઇ શકે છે તેવી રાજકીય અફવાએ જોર પકડયુ છે. જો મંત્રી મંડળનુ વિસ્તરણ થાય તો મંત્રી પુરષોતમ સોલંકી સહિત મંત્રી આર.સી.ફળદુ, મંત્રી વિભાવરી દવે, મંત્રી વાસણ આહિર ઉપરાંત અન્ય એકાદ મંત્રીની બાદબાકી થઇ શકે છે. આ રાજકીય અફવાને પગલે અત્યાર સુધી માંદગીના બિછાને પડેલાં મંત્રી પુરષોત્તમ સોલંકીએ ઘણાં લાંબા સમય બાદ સચિવાલયમાં દેખા દીધી હતી.
આજે પાટનગર ગાંધીનગરમાં મંત્રી પુરષોત્તમ સોલંકીના વડપણ હેઠળ બેઠક મળી હતી. કોળી સમાજના પ્રશ્નોને લઇને આ બેઠક મળી હોવાનુ કારણ દર્શાવાયુ હતું. હકીકતમાં એવી ચર્ચા છેકે, જો મંત્રીમંડળનુ વિસ્તરણ થાય તો, પુરષોત્તમ સોલંકીની બાદબાકી થાય તો તેમના ભાઇ હીરા સોલંકીને મંત્રીપદ મળે તે માટે અત્યારથી રાજકીય આયોજન ઘડવામાં આવી રહ્યુ છે.
બિમારીને કારણે પુરષોત્તમ સોલંકી હવે ભાઇ હીરા સોલંકીનુ રાજકીય કદ વધારવા મેદાને ઉતર્યા છે. ઉલ્લેખનીય છેકે, આ અગાઉ કોળી નેતાઓએ હિરા સોલંકીને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવા પણ માંગ કરી ચૂકયાં છે. આ ઉપરાંત આ જ કોળી નેતાઓએ થોડાક સમય પહેલાં બોર્ડ નિગમના ચેરમેન બનાવવા પણ માંગણી કરી હતી.
જોકે, બેઠકના અંતે મંત્રી પુરષોતમ સોલંકીએ જણાવ્યું કે,મને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની વાત જ નથી. જો એવુ હશે તો મારા કોળી સમાજે વિચાર કરવાનો છે.મારી નાદુરસ્ત તબિયતને કારણે પડતા મૂકવા હોત તો કયારના ય મંત્રીમંડળમાં પડતો મૂકાયો હોત.મે પાર્ટી માટે ઘણું કર્યુ છે.આમ,મંત્રી પુરષોત્તમ સોલંકીએ કોળી સમાજને આગળ ધરી અત્યારથી શક્તિ પ્રદર્શન કર્યુ છે જેના કારણે પાટનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.