ઉદગમ સ્કૂલે ફી મુદ્દે મેસેજ કર્યા બાદ વિરોધ થતા ફેરવી તોળ્યું
- ફી નહીં તો ઓનલાઈન શિક્ષણના વિવાદ વચ્ચે
- ફી ન ભરી હોય તે વાલીઓને ગુ્રપમાંથી બાકાત કરી દીધાની ફરિયાદ : સ્કૂલે ટેકનિકલ ખામી જણાવી
અમદાવાદ, તા. 27 જુલાઇ, 2020, સોમવાર
સરકાર દ્વારા ફી નહી લેવાના ઠરાવ બાદ ફી નહી તો ઓનલાઈન શિક્ષણ નહીનો વિવાદ હાલ ચાલી રહ્યો છે ત્યારે ઉદગમ સ્કૂલે એકાએક આજે ફી મુદ્દે અનેક વાલીઓને ઓનલાઈન શિક્ષણના સોશિયલ મીડિયા ગુ્રપમાંથી દૂર કરી દીધા હોવાની ફરિયાદો ઉઠી હતી.
વાલીઓની ફરિયાદ છે કે ફી મુદ્દે તેઓને આજે સવારે વોટ્સએપગુ્રપમાંથી દૂર કર્યાના મેસેજ મળ્યા હતા.ત્યારબાદ સ્કૂલમાં જઈને રજૂઆત કરવામા આવી હતી પરંતુ સ્કૂલ તરફથી મેનેજમેન્ટને મેઈલ કરીને રજૂઆત કરવા જણાવાયુ હતુ.વાલીઓની ફરિયાદ છે કે ફીમાં ચેકને બદલે કેશ માંગવામા આવી રહ્યા છે ઉપરાંત વોટસએપ ગુ્રપમાંથી દૂર કર્યા બાદ કેટલાક વાલીએ તો ફી ભરી પણ દીધી હતી.
આ બાબતે ભારે વિરોધ થતા સ્કૂલ મેનેજમેન્ટે પોતાનો બચાવ કર્યો હતો અને ટેકનિકલ ખામીને લીધે આવુ થયુ હોવાનું જણાવ્યુ હતું.સ્કૂલ મેનેજમેન્ટનુ કહેવુ છે કે ટેકનિકલ ખામીને લીધે રીમુવ થઈ ગયા હતા પરંતુ તરત જ તમામ વાલીને ફરીથી એડ કરી દેવાયા છે.