For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના વેક્સિન લેનારા લોકોને આપવાના તેલના પાઉચનો બારોબાર વહીવટ થાય છે

Updated: Nov 26th, 2021

Article Content Image

અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં

હેલ્થ ખાતાના કર્મચારીઓના ઘરે જ સીધા તેલના પાઉચ પહોચે છે, તો ક્યાંક ટ્રક જ સીધી વેપારીઓના ત્યાં જાય છે

અમદાવાદ : કોરોના વેક્સીન લેનારી વ્યક્તિને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા તેલના પાંઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં વેકસીનના આવા લાભાથીઓ માટેના તેલના પાઉચનો બરોબર જ વહીવટ થઇ જતો હોવાની ફરિયાદ ઉઠી છે, તેમજ ખરેખર લાભાર્થીને હાલ સ્ટોક જ નથી તેમ કહીને બારોબર વિદાય કરી દેવામાં આવતા હોવાની બૂમ ઉઠવા પામી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિસ્તારના કઠવાડા ખાતેના રસીકરણ કેન્દ્ર ખાતે છેલ્લા બે દિવસથી આ ફરિયાદો ઉઠી છે. મંગળવારે અને ગઈકાલે જે જે લોકોએ કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો તે તમામને આવા તેલના પાઉંચ આપ્યા વિના જ રવાના કરી દેવાયા હતા

જેમના કેટલાક લોકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા આ વિગતો બહાર આવી હતી. આવા લાભાર્થીઓને આપવા માટેના તેલના પાઉંચ ભરેલી એક ગાડી આજે સ્થળ ઉપર પહોચે તે પહેલા જ તેને બારોબાર અન્યત્ર કોઈ વેપારીના ત્યાં જ રવાના કરી દેવામાં આવી હોવાની ફરિયાદ પણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી.

આ સ્થળેથી જેને વેક્સીનનો ડોઝ લીધો હતો તેવા પ્રતિક નવીનચંદ્ર દોશીએ આજે જણાવ્યું હતું કે, મેં લીધેલી વેક્સીનનું ઓન લાઈન પ્રમાણપત્ર મને મળી ગયું છે, પરંતુ મને કે મારી સાથે જે લોકો વેક્સીન લેવા માટે લાઈનમાં હતા તેમાંથી કોઈને પણ તેલનું પાઉંચ આપવામાં આવ્યું નથી.

જયારે પાઉચની માંગણી કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આવા કોઈ પાંઉચ કોઈને આપવામાં આવતા નથી. જયારે આ સંદર્ભે પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ અધિકાર ડો. અશ્વિનભાઈ ખરાડીનો આ સંદર્ભે વારંવાર સંપર્ક કરવા છતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી જ લીધી નહોતી અને તેના દ્વારા જ આ હકીકતમાં કૈક સત્ય હોવાની બાબતની પ્રતીતિ કરવી દીધી હતી.

Gujarat