પૂનમના દિવસે જ વડોદરા-ડાકોર વચ્ચેની 'પૂનમ સ્પેશ્યલ' ટ્રેન રદ
રેલવે તંત્રના અણધડ આયોજનના કારણે આવતીકાલે અનેક શ્રધ્ધાળુ અટવાશે
વડોદરા,તા.19 માર્ચ 2019,મંગળવાર
યાત્રાધામ ડાકોર ખાતે જવા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ શરૃ કરાયેલી વડોદરા-ડાકોર વચ્ચેની પૂનમ સ્પેશ્યલ ટ્રેનને રેલવે તંત્ર દ્વારા યાંત્રિક સમારકામના કારણે આજે અને આવતીકાલે આવતીકાલે ફાગણસુદ પૂનમના દિવસે રદ કરવાની જાહેરાત કરતાં આજે ડાકોર જવા માગતા અનેક મુસાફરો અટવાયા હતા.
ડાકોર ખાતે દરમહિનાની પૂનમના દિવસે લાખો શ્રધ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. દરમિયાન શ્રધ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વડોદરાથી ડોકાર અને ડાકોરથી વડોદરા વચ્ચે દર મહિનાના પૂનમના દિવસે વડોદરા રેલવે સ્ટેશનથી'પૂનમ સ્પેશ્ય'લ ટ્રેન દોડાવવામાં આવે છે જેના કારણે ડાકોર જતા અનેક શ્રધ્ધાળુઓને ડાકોર પહોંચવા તેમજ દર્શન કરીને આ જ ટ્રેનમાં પરત ફરવા માટે ભારે સરળતા રહે છે.
આવતીકાલે ફાગણસુદ પૂનમ હોળીના દિવસે વડોદરાથી પણ હજ્જારો શ્રધ્ધાળુઓ ડાકોરમાં દર્શનાર્થે જશે . જોકે આવતીકાલે રણોલી ખાતે ઓટોમેટીક સિગ્નલને લગતી ઈન્ટરલોકીંગની કામગીરી કરવાની હોઈ રેલવે તંત્ર દ્વારા આજે તેમજ આવતીકાલે પૂનમના દિવસે જ વડોદરા-ડાકોર અને ડાકોર -વડોદરા વચ્ચેની પૂનમ સ્પેશ્યલ ટ્રેન રદ કરી છે. આ ટ્રેન રદ થવાના કારણે આવતીકાલે અનેક શ્રધ્ધાળુઓને ડાકોર જવા માટે તેમજ ત્યાંથી પરત ફરવા માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.