દેશમાં પર્યાવરણના કાયદામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અને પોલિટિકલ દખલગીરી છે
એમ.એસ.યુનિ.માં એન્વાર્યમેન્ટલ લોના પ્રોફેસરે કહ્યું
પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી સરકારની સાથે લોકોની પણ છે
વડોદરા, તા. 21 જાન્યુઆરી 2020,મંગળવાર
પર્યાવરણને સૌથી વધુ પ્રદૂષિત ઔદ્યોગિક એકમો કરી રહ્યા છે તેની સામે કડક કાયદાઓ અને જેલની સજા પણ છે પરંતુ બિઝનેસમેન પૈસા દઈને છૂટી જાય છે. પર્યાવરણના કાયદામાં બિલ્કુલ પારદર્શિતા નથી ઉપરથી તેમાં ભ્રષ્ટાચાર અને પોલિટિકલ દખલગીરી ખૂબ જ છે, એમ નેશનલ લો સ્કૂલ બેંગ્લોરના પ્રો.ડો.સાઈરામ ભટ્ટનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ની લો ફેકલ્ટીમાં 'પર્યાવરણના નુકસાન માટે તેનો ઉપચાર' વિષય અંતર્ગત લેક્ચરનું આયોજન કરાયું હતું. જેમાં બેંગ્લોરથી આવેલા એન્વાર્યમેન્ટલ કાયદાના નિષ્ણાંત પ્રો.સાઈરામે કહ્યું કે, નાણાકીય ભ્રષ્ટાચાર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડનારનું શું? આ માટે કડક કાયદા તો છે પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો નથી. પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી સરકારની સાથે લોકોની પણ છે. સ્વચ્છ પાણી, હવા વગેરેનો લોકોને અધિકાર છે તેની સામે તેને સ્વચ્છ રાખવાની ફરજ પણ લોકોની જ આવે છે. પર્યાવરણની જાગૃતિ માટે શાળાના બાળકોને તેની સમજ આપવી ખૂબ જરુરી છે કારણકે તેમના થકી જ વાલીઓ સુધી આ વાત સરળતાથી પહોંચશે.
વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે, એન્વાર્યમેન્ટલ લોમાં આગળ વધવામાં ઘણી તકો અને નાણા મળી શકે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરવાની પણ તક મળે છે. પરંતુ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે એન્વાર્યમેન્ટલ સાયન્સનું બેકગ્રાઉન્ડ હોવું જરુરી છે.