અમદાવાદ,રવિવાર
પોતાના પીએેમઓમા ઉચ્ચ પોલીસ અધિકારી ગણાવીને જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવવાથી માંડીને અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલની પુછપરછમાં ક્રાઇમબ્રાંચને અનેક મહત્વની વિગતો મળી છે. જેમાં તેના ત્રણ બેંક એકાઉન્ટની વિગતો મળી છે. જે અગે સોમવારે ક્રાઇમબ્રાંચની ટીમ બેંકમાં જઇ વધુ વિગતો એકત્ર કરશે. ઉપરાંત, તેને ઘોડાસર પ્રેસ્ટીજ બંગલો ખાતે રહેણાંક પર પણ તપાસમાં માટે લઇ જવામાં આવશે.મહાઠગ કિરણ પટેલની સિંધુ ભવન રોડ પર આવેલો રૂપિયા ૧૫ કરોડની કિંંમતનો નીલકંઠ બંગલો પચાવી પાડવાના કેસમાં ધરપકડ બાદ ૧૫ તારીખ સુધીના રિમાન્ડ મેળવીને પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ક્રાઇમબ્રાંચે આજે તેની પુછપરછ દરમિયાન તેના નાણાંકીય વ્યવહારો અંગે કેટલીંક મહત્વની માહિતી મેળવવાની સાથે તેના ત્રણ બેંક એકાઉન્ટની પણ વિગતો મેળવી છે. જેમાં તેની પત્ની માલિની સાથે યુનિયન બેંક અને એચડીએફસી બેંકમાં જોઇન્ટ બેંક એકાઉન્ટ છે. જ્યારે ત્રીજુ બેંક એકાઉન્ટ અલ્હાબાદ બેંકમાં આવેલું છે. ક્રાઇમબ્રાંચ સોમવારે બેંકમાં જઇને આ તમામ બેંક એકાઉન્ટમાં કરવામાં આવેલા નાણાંકીય વ્યવહાર અંગેની માહિતી મેળવશે. જેમાં તેણે કરોડો આર્થિક વ્યવહાર કર્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, તેને સાથે રાખીને ઘોડાસર પ્રેસ્ટીજ બંગલો ખાતે તેના રહેઠાણ પર પણ તપાસ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ જગદીશ ચાવડાનો સિંધુ ભવન ખાતે આવેલો બંગલો પંચાવી પાડવા માટે ષંડયંત્ર રચ્યું હતું. જેમાં તેણે પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપીને બંગલો ખરીદવા માટે ઓફર કરી હતી. સાથેસાથે તેણે કહ્યું હતું કે અદાણી ગુ્રપ સાથે તેનું એક કામ ચાલે છે. જેના નાણાં આવતા તે ખરીદી પેટે જગદીશભાઇને ચુકવી દેશે. જે બાદ બંગલો રિનોવેશનના નામે જગદીશભાઇ પાસે ૩૫ લાખનો ખર્ચ પણ કરાવ્યો હતો.


