યુવકને ગુનો કબૂલ કરાવવા પોલીસે ૧૫ મિનિટ માર માર્યો
યુવક પાસેથી મળેલી માર્કશીટ શંકાસ્પદ હોવાથી બોર્ડમાં ખરાઇ માટે મોકલી છે અમે માર્યો નથી : પોલીસ
વડોદરા,તા,30,ઓક્ટોબર,2020,શુક્રવાર
પીસીબી પોલીસે ગુનો કબૂલ કરાવવા માટે માર માર્યો હોવાની તથા સટ્ટામાં પકડાયેલા આરોપીને છોડવા માટે ૪૦ હજાર રૃપિયા લીધા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
અકોટા શિવશક્તિનગરમાં રહેતા સરજૂ જોનભાઇ પરેરાએ પીસીબી પી.આઇ. પીએસઆઇ મહંત અને પીએસઆઇ પટેલ સામે પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મારા પુત્રને ગત ૨૫મી તારીખે પીસીબી પોલીસવાળા ઘરેથી લઇ ગયા હતા. જેથી અમે પીસીબી ઓફિસે ગયા ત્યારે જાણ થઇ કે મારા પુત્રના બે મિત્રો આદિલ અને રોનકની સામે સટ્ટાનો કેસ કર્યો હતો અને આદિલના મોબાઇલ ફોનમાં વર્ષ ૨૦૧૭ની માર્કશીટ અંગેની મારા પુત્ર નોવેલની ચેટ હતી જે અંગે ગુનો કબૂલ કરાવવા માટે મારા પુત્રને ઉંધો સુવડાવી ૧૫ મિનિટ સુધી પોલીસવાળાએ માર માર્યો હતો. મારા પુત્રના મિત્ર રાહુલ મને જણાવ્યુ હતું કે પોલીસવાળાએ માપી પાસે ૭ લાખ રૃપિયાની માગણી કરી હતી અને જો રૃપિયા ન આપુ તો કોઇપણ ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી. મારા પુત્રનો મોબાઇલ ફોન પીસીબીએ લઇ લીધો છે અને હજી તેમની પાસે જ છે.
આ અરજીની નકલ રાજ્યના પોલીસવડા તેમજ ગૃહવિભાગને પણ મોકલી આપવામાં આવી છે.
આ કેસ અંગે પીસીબીના પીએસઆઇ પટેલે જણાવ્યું છે કે નોવેલના નામવાળી ત્રણ શંકાસ્પદ માર્કશીટ તેના ઘરેથી પંચો રૃબરૃ કબજે લીધી છે. જેની ખરાઇ કરવા માટે બોર્ડમાં મોકલી છે. અમે તેને માર માર્યો નથી કે તેનો મોબાઇલ પણ અમારી પાસે નથી.