ગુજરાતના કતલખાનાઓ માં નિયમ પાલન થતું નથી : PIL
હાઇકોર્ટની રાજ્ય સરકારને નોટિસ
સુપ્રીમ કોર્ટે વિસ્તૃત માર્ગદર્શિકા આપી હોવા છતાં રાજ્ય સરકારે કામગીરી કરી નથી : આક્ષેપ
Updated: Nov 23rd, 2021
અમદાવાદ,
મંગળવાર
ગુજરાતના કતલખાનાઓમાં કાયદા અને નિયમોની અમલવારી ન થતી
હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની રિટ હાઇકોર્ટમાં કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ
અરવિંદ કુમાર અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને
નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.
રિટમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ-૨૦૧૨માં
સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં કતલખાના સમિતિ બનાવવા અને પ્રાણીઓ માટેના કાયદાનું
પાલન કરવા માટે નિર્દેશો આપ્યા હતા. આ સમિતિની મુખ્ય કામગીરી ગેરકાયદે કતલખાના બંધ
કરાવવાની હતી. અરજદારનો આક્ષેપ છે કે ગુજરાતની કલલખાના સમિતિ દ્વારા સુપ્રીમ
કોર્ટના નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન થઇ રહ્યું નથી.
અરજદારે આર.ટી.આઇ. દ્વારા મેળવેલી માહિતીના આધારે આક્ષેપ
કર્યો છે કે મોટા ભાગના જિલ્લાઓમાં કતલખાના માટેની કોઇ સમિતિ નથી. આ ઉપરાંત ફૂડ
એન્ડ સેફ્ટી વિભાગ પાસેથી મળેવી માહિતી પ્રમાણે ગુજરાતમાં એક કતલખાના પાસે જ
લાયસન્સન છે. અરજદારનો આક્ષેપ છે કે રાજ્યના પોલીસ વડા પણ કતલખાના સમિતિના સભ્ય
હોય છે, જ્યારે
તેમની પાસેથી માહિતી માંગવામાં આવી ત્યારે તેમની પાસે કોઇ માહિતી ન હોવાનું બહાર
આવ્યું હતું.