અમદાવાદ,તા.06 એપ્રિલ 2022, બુધવાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં આગામી તા.૭ એપ્રિલથી તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર ૩૦ રૂપિયાથી ઘટાડીને ૧૦ રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવેના આ નિર્ણયથી રેલવે સ્ટેશને મુસાફરોને લેવા-મુકવા આવતા સ્વજનોને મોટી રાહત મળી રહેશે.
કોરોનાકાળામાં કોરોના સંક્રમણને જોતા સ્ટેશનો પર ભીડ ઓછી કરવાના આશયથી પ્લેટફોર્મ ટિકિટના દર ગત તા.૧૮ જાન્યુઆરીથી વધારીને સીધા ૩૦ રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. વધુ ભીડભાડ રહેતી હોય તેવા અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર, સાબરમતી સ્ટેશનો પર આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો હતો.
હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રસીકરણ થઇ ગયું છે અને સંક્રમણનું જોખમ ઘટી ગયું છે ત્યારે અમદાવાદ વિભાગ દ્વારા સમગ્ર સ્થિતિના અભ્યાસ બાદ મુસાફરોના હિતમાં ઉપરોક્ત તમામ રેલવે સ્ટેશનો પર પૂનઃપ્લેટફોર્ટ ટિકિટનો દર ૧૦ રૂપિયા કરી દેવાયો છે.


