પાલડી-વાસણા વિસ્તારમાં ૧૮ વર્ષ બાદ ભારે વરસાદથી લોકો બેહાલ થયા
વર્ષ ૨૦૦૪માં ચંદ્રભાગામાં આવેલા પુર બાદ બિસ્માર સ્થિતિ સર્જાય
પાલડી-અંજલી બ્રીજ પર વહેલી પરોઢ સુધી લોકો ફસાયેલા રહ્યાઃ વાસણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું
અમદાવાદ
અમદાવાદમાં રવિવારે વરસાદે રીતસરનો હુંમલો કર્યો હોય તેવી સ્થિતિ સર્જાય હતી. જેમાં પાલડી અને વાસણામાં ૧૮ ઇંચ જેટલા વરસાદને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ૧૮ વર્ષ પહેલા ચંદ્રભાગા બ્રીજ પરથી સાબરમતીમાં પુર આવતા પાલડી વાસણાં અતિશય પાણી ભરાયા હતા. જેમાં ખુબ મોટા પ્રમાણમાં વાહનચાલકો ફસાયેલા જોવા મળ્યા હતા. જેમાં પાલડી-અંજલી બ્રીજથી જુહાપુરા, જીવરાજ પાર્ક જવાના તમામ રસ્તા પર ત્રણ થી ચાર ફુટ પાણી ભરાયા હતા. પાલડી-અંજલી બ્રીજ ક્રોસ કરીને ન્યુ વાસણા, જીવરાજ પાર્ક, જુહાપુરા અને સરખેજ તરફ જવાના તમામ રસ્તા પર અતિશય વરસાદને કારણે પાણીથી ભરાઇ ગયા હતા. જેના કારણે બ્રીજ પર જ વાહનો ફસાયા હતા. એટલું જ નહી ત્યાંથી અન્ય સ્થળો પણ જઇ શકાય તેવી સ્થિતિ ન હોવાને કારણે કારચાલકોએ ગાડીઓમાં રાત વિતાવીને પાણી ઉતરવાની રાહ જોઇ હતી. ૧૮ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૪માં ચંદ્રભાગા પરથી આવેલા પુરને કારણે નદીનું લેવલ અચાનક વધ્યુ હતું. જેના કારણે પાલડી અને વાસણામાં પાણી ઘરમાં ઘુસી ગયા હતા. ૧૮ વર્ષ બાદ ફરીથી જુની યાદો તાજી થઇ હતી. રવિવારે પાણી વાસણા એેએમટીએસ બસ સ્ટેશનથી એપીએમસી તરફ જવાના માર્ગ જ નહી પણ તમામ આંતરિક રસ્તા પર ફેલાયા હતા. જેના કારણે લોકોના ઘરમાં જ નહી પણ વાસણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા હતા.
વરસાદી પાણી સોસાયટીના ટાંકામાં જતા બિમારીઓની શક્યતા
વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી સોસાયટીમાં અને એપાર્ટેન્ટના
ટાંકામાં ઘુસી જતા અનેક સ્થળોએ નળમાંથી ગંદુ પાણી આવતા બિમારીઓની શક્યતા વધી જાય છે. જેથી અનેક સોસાયટીઓમાં તેમના મેમ્બરને
નળમાં કે આરઓ માંથી આવતુ પાણીને ઉકાળીને ઠંડુ કર્યા બાદ જ પીવા માટે સુચના આપવામાં
આવી હતી.
કાર સર્વિસ માટે એક સપ્તાહ સુધીનું વેઇટીંગ જતુ રહ્યું
એક જ દિવસમાં વરસાદે ભારે તબાહી સર્જતા શહેરમાં પાંચ હજારથી
વધારે કાર અને ૧૦ હજારથી વધારે ટુ વ્હીલર્સ પાણી ભરાવાના કારણે બગડયા હતા. જેના કારણે
રાતોરાત મીકેનીકનો ભાવ ઉચકાઇ ગયો હતો. જેમાં કાર રીપેર કરીને પરત આપવાનો સમયે એક સપ્તાહ
સુધીનો થઇ ગયો હતો. તો કારને ટોઇંગ કરીને સર્વિસ
સેન્ટર પર લાવવાનો ચાર્જ પણ બે હજાર સુધી વસુલાયો હતો. તો બીજી તરફ એવા સેવાભાવી યુવકો પણ જોવા મળ્યા હતા
કે જે ટુ વ્હીલર ચાલુ કરવામાં મદદ કરતા હતા.
ઘરે ન પહોંચી શકે તેમ ન હોવાથી લોકો હોટલમાં રોકાયા
અમદાવાદમાં આવેલા ભારે વરસાદને કારણે સ્થાનિક હોટલોને ફાયદો
થયો હતો. જેમાં રસ્તામાં ફસાયેલા લોકો રાતના સમયે ઘરે વાહન ફસાવવાને કારણે ઘરે પહોંચી
શકે તેમ ન હોવાને કારણે નજીકમાં આવેલી હોટલમાં જ રાતવાસો કરવા જતા રહ્યા હતા. જેના
કારણે એસ જી હાઇવે, સરખેજ, આશ્રમ રોડ, ગીતા મંદિર, કાલુપુરની હોટલો ભરાયેલી
રહી હતી.
પાણીથી થતુ નુકશાન વીમામાં કવર ન થતા ચિંતાનો માહોલ
શહેરમાં હજારો વાહનો પાણીના કારણે બંધ પડી ગયા છે. જેમાં મોટાભાગના વાહનોના એન્જીનમાં જ પાણી
ઘુસી ગયું હોવાને કારણે વાહનચાલકોને ખુબ મોટો ખર્ચ આવી શકે તેમ છે. જે વીમા કંપની દ્વારા
ક કવર કરવામાં આવતો હોવાને કારણે મુશ્કેલી સર્જાય છે. ખાસ કરીને સેડાન કારના એન્જીનને
ખોલીને રીપેર કરવાનો સામાન્ય ખર્ચ જ ૭૫ હજારથી
વધારે હોય છે. જેનેં વોટર ડેમેજનું કારણ આપીને મંજૂર ન કરાતા નથી.
બેઝમેન્ટમાંથી પાણી ખેંચવાના પંપનો ચાર્જ ત્રણગણો લેવાયો
ભારે વરસાદને કારણે અમદાવાદમાં ૫૦૦થી વધારે કોમર્શીયલ અને રેસીડેન્સીયલ
મકાનોના બેઝમેન્ટમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે કરોડો રૂપિયાનો કિંમતી સામાન પલળી
ગયો હતો. જેમાં વાસણામાં આવેલા એક ટુ વ્હીલરનો શો રૂમ જ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ત્યારે બેઝમેન્ટમાં થી પાણી કાઢવા માટેના પંપની
વ્યવસ્થા ધરાવતા લોકોએ ત્રણ હજાર રૂપિયા સુધીનો ચાર્જ વસુલ્યો હતો. તેમ છંતાય, બેઝમેન્ટમાંથી પાણી કાઢવાની કામગીરી હજુ બે થી ત્રણ દિવસ ચાલી
શકે તેમ છે.
રાણીપમાં રૂપલ એપાર્ટમેન્ટમાં જર્જિત ફ્લેટ જોખમી બન્યા
રાણીપ રાધાસ્વામી રોડ પર આવેલા ૩૭ વર્ષ જુના રૂપલ એપાર્ટમેન્ટના મોટાભાગના બ્લોક
જર્જીત હાલતમાં હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ રહેવાસીઓને મકાન ખાલી
કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. તેમ છંતાય,
મોટાભાગના લોકોએ મકાન ખાલી નથી કર્યા. જેના કારણે સ્થાનિક લોકોના જીવ પર જોખમ રહેલું
છે. ત્યારે રવિવારે ભારે વરસાદને કારણે ત્રણ
નંબરના બ્લોકમાં ત્રીજા માળે આવેલા ફ્લેટની છતમાંથી પોપડા પડ્યા હતા. જો કે કોઇ જાનહાની
થઇ નહોતી. શહેરમાં આ પ્રકારની અનેક જર્જિત ઇમારતો આવેલી છે.જો કેનોટીસ મળવા છંતાય, લોકો હજુ સુધી મકાન
ખાલી કરતા નથી.